ગુજરાત

તા.૨જી એપ્રિલ: વર્લ્ડ ઓટિઝમ ડે: હૂંફ, પ્રેમ, જાગૃતિ જ બેસ્ટ ટ્રીટમેન્ટ

તા.૨જી એપ્રિલ: વર્લ્ડ ઓટિઝમ ડે: હૂંફ, પ્રેમ, જાગૃતિ જ બેસ્ટ ટ્રીટમેન્ટ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ DEIC સેન્ટર દ્વારા ‘વહેલું નિદાન અને વહેલી સારવાર’ના મહત્વ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું

 

સમગ્ર વિશ્વભરમાં તા.૨જી એપ્રિલને ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨ એપ્રિલ-૨૦૨૬ના રોજ ૧૯મો ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ છે. ડિસેમ્બર ૨૦૦૭માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પસાર કરેલા એક ઠરાવ મુજબ વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨ એપ્રિલને ‘વિશ્વ ઓટિઝમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરતની નવી સિવિલ હોસ્પિટલ સ્થિત ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા ૨જી એપ્રિલ ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.   રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ DEIC સેન્ટર દ્વારા વહેલા નિદાન અને સારવાર અંગે વાલીઓને માર્ગદર્શન આપી ઓટિઝમ ધરાવતા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ સમાજમાં આ વિષયે જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કાઉન્સેલિંગ સેશન યોજાયા હતા. ઉપરાંત, વિશેષ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ ચિત્રોમાં રંગો પૂર્યા હતા અને ‘સંગીત ખુરશી’, ચિત્રકલા, બેલેન્સિંગ સહિતની રમતોમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો. જેમને સર્ટિફિકેટ, કલર્સ, ફ્રૂટ્સ અને વેફર્સ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ રમતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં એકાગ્રતા અને સામાજિક સમન્વય વધારવાનો હતો.    રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત DEIC સેન્ટરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિષ્ણાત તબીબોની ટીમ સેવા આપી રહી છે. જેમાં મેડિકલ ઓફિસર, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર્સ, સાયકોલોજીસ્ટ, સ્ટાફ નર્સ તેમજ સ્પીચ થેરાપી અને હિયરિંગ જેવી અત્યાધુનિક સેવાઓ ઉપલબ્ધ છે.   ઓટીસ્ટીક બાળકોના વાલીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સેશન યોજીને ‘વહેલું નિદાન અને વહેલી સારવાર’ના મહત્વ વિશે સમજ અપાઈ હતી. નોંધનીય છે કે, ઓટિઝમ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી માનસિક સ્થિતિ છે, જેમાં બાળક સામાન્ય લાગે, પરંતુ તે આત્મકેન્દ્રી અને ‘સ્વ’માં જ જીવતો હોય તેવું લાગે. એટલે કે ‘નજર સામે, પણ પહોંચની બહાર’. તેથી જ ઓટીસ્ટીક બાળકોને ‘તારા સમાન બાળકો’ પણ કહેવામાં આવે છે. આ પ્રસંગે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ધરિત્રી પરમાર, DEIC મેનેજર ડો. હર્ષિતા પટેલ, DEIC નોડલ ઓફિસર અને બાળરોગ વિભાગના વડા ડો.જિજ્ઞીશા પાટડિયા, DEIC બાળરોગ નિષ્ણાંત ડો.સંદેશ, SMCના RBSK નોડલ ઓફિસર ડો.અંસિલ સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીઓ-વિશેષ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button