વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ

વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવ
પ્રાકૃતિક ફાર્મર માર્કેટને બહોળો પ્રતિસાદઃ ૭૧ સ્ટોલ પર રૂ.૨૮.૨૭ લાખનું વેચાણ”
પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ઉત્પાદનો તરફ ઝુકાવ વધ્યો: ૩૩ સ્ટોલમાંથી રૂ.૧૨.૩૫ લાખના ઉત્પાદનોનું વેચાણ
પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરીને સ્વસ્થ રહે તેમજ ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરતા થાય તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૮ અને ૯મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ યોજાયો હતો.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લા મૂકાયેલા આ મહોત્સવમાં સુરત સહિતના દ. ગુજરાતના જિલ્લાઓમાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ મિલેટ્સ પાકો અને તેમાંથી તૈયાર ઉત્પાદનો, શાકભાજી, ફળફળાદિના પ્રદર્શન તેમજ વેચાણ માટેના ૭૧ સ્ટોલમાંથી સુરતીઓએ બહોળા પ્રતિસાદ સાથે ખરીદી કરી હતી. પ્રથમ દિવસે રૂ. ૮.૭૮ લાખ અને બીજા દિવસે રૂ. ૧૯.૪૯ લાખનું વેચાણ થયું હતું. જે પૈકી ૩૩ જેટલા માત્ર પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સમાંથી રૂ.૧૨.૩૫ લાખનું વેચાણ નોંધાયું હતું.
આ મહોત્સવ દ્વારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળ્યો હતો. પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોની રૂચિમાં વધારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના ઉમદા આયોજનો કરીને ખેડૂતોને સશક્ત બનાવવાના નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.