ઓએનજીસી હજીરા પ્લાન્ટ દ્વારા સ્વચ્છતા પખવાડીયા-૨૦૨૪ અંતર્ગત ચર્ચાસ્પર્ધા યોજાઈ
"શું ભારતમાં ગંદકીને સજાપાત્ર ગુનો બનાવવો જોઈએ?" વિષય પર વિદ્યાર્થીઓએ રસપ્રદ ડિબેટ કરી

Surat Hazira News: ઓએનજીસી હજીરા પ્લાન્ટ-સુરત દ્વારા સાર્વજનિક કોલેજ ઓફ કોમર્સ એન્ડ કોમ્પ્યુટર એપ્લીકેશન-સુરત ખાતે સ્વચ્છતા પખવાડીયા-૨૦૨૪ અંતર્ગત “શું ભારતમાં ગંદકીને સજાપાત્ર ગુનો બનાવવો જોઈએ?” વિષય પર રસપ્રદ ડિબેટ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને યુવાનોને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સામેલ કરવાનો પ્રયાસ કરાયો હતો. વિદ્યાર્થીઓએ આ મુદ્દાની ઊંડી સમજણ દર્શાવી અને વિષય માટે અને વિરુદ્ધ ઉત્સાહપૂર્વક દલીલો કરી હતી.
ઓએનજીસી હજીરાના ચીફ મેનેજર (માનવ સંસાધન) શ્રી રાજીવ કુમાર યાદવ, કાનૂની સલાહકાર સુશ્રી પ્રિયંકા મૌર્ય અને કોલેજના પ્રિન્સિપાલ હેમિના અધ્વર્યુએ સ્પર્ધામાં નિર્ણાયકોની ભૂમિકા ભજવી હતી.
સ્પર્ધા બાદ ઓએનજીસી હજીરાના સીએસઆર ઈન્ચાર્જ શ્રી રાજેન્દ્રકુમાર મિશ્રાએ વિજેતાઓને અભિનંદન પાઠવી તમામ વિદ્યાર્થીઓને સ્વચ્છતા સેનાની બનવા પ્રેર્યા હતા. તેમણે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા માટે દરેક સંભવિત માધ્યમો દ્વારા જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.