કચ્છ જિલ્લાના ૨૫ યુવાનોનું આંતર-જિલ્લા યુવા આદાનપ્રદાન માટે સુરતમાં આગમન

કચ્છ જિલ્લાના ૨૫ યુવાનોનું આંતર-જિલ્લા યુવા આદાનપ્રદાન માટે સુરતમાં આગમન
માય ભારત અને નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૩ માર્ચ સુધી આંતર-જિલ્લા યુવા આદાનપ્રદાન કાર્યક્રમનું સુરત ખાતે આયોજન
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૨૭ ફેબ્રુ.થી ૩ માર્ચ સુધી આંતર-જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાઈ રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓના યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ માટે કચ્છ જિલ્લાના ૨૫ યુવાનો અને ૨ ટીમ લીડરો સુરતના મહેમાન બન્યા છે.
આ ૫ દિવસ દરમિયાન પ્રતિભાગી યુવાનો સાથે સાંસ્કૃતિક પ્રદર્શન, ઇન્ટરેક્ટિવ સત્રો અને શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા થઈ રહી છે. નેહરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું કે, આદાનપ્રદાન કાર્યક્રમથી રાજ્યના યુવાનોને એક સાથે લાવવા, તેમના અનુભવો શેર કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવે છે. અમારૂ લક્ષ્ય રાષ્ટ્રીય અને સામાજિક એકતા તેમજ યુવા વિકાસને પ્રોત્સાહન આપવાનું છે.
આ પ્રસંગે પ્રાદેશિક રોજગાર અધિકારી ડો.અમનદીપસિંહ, શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના વ્યાકરણ ગુરૂજી મનોજભાઈ મહેતા, વેદાચાર્યશ્રી પ્રવીણભાઈ જોશી અને કોમન સર્વિસ સેન્ટરના પ્રમુખ વિશાલભાઈ વાઘાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.