રસોડાથી ખેતર સુધી : અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા

રસોડાથી ખેતર સુધી : અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા

સુરત: સંકલ્પ અને સાચું માર્ગદર્શન મળે તો એક ગૃહિણી પણ કેવી રીતે સફળ બની શકે છે, તેનું જીવંત ઉદાહરણ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના કૈલાશબેન પટેલ. ૩૭ વર્ષીય કૈલાશબેન આજે માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ ‘પ્રાકૃતિક ખેતી’ના માધ્યમથી સમગ્ર સમુદાય માટે આશાનું કિરણ બન્યા છે. એક સમયે માત્ર ઘરકામ કરીને ગૃહિણી જીવન જીવતા કૈલાશબેન હવે શાકભાજીની સજીવ ખેતી કરીને સફળ ખેડૂત બન્યા છે. સાથે જ પોતાના ઉત્પાદનને જાતે જ બજારમાં વેચીને સફળ વેપારી પણ બન્યા છે.
એક સામાન્ય ગૃહિણી તરીકે જીવન જીવતા કૈલાશબેનના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ અદાણી ફાઉન્ડેશન અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા. તાલીમ દ્વારા તેમણે રાસાયણિક ખેતી છોડી જીવામૃત અને વર્મીકમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરો બનાવવાની કળા હસ્તગત કરી. શરૂઆતમાં ટેકનિકલ બાબતોમાં મુશ્કેલી પડી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી તેમણે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીને ખેતીને વિજ્ઞાન સાથે જોડીને પરિવારની એકદમ પડતર જમીનને ફળદ્રુપ બનાવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તેમને અદાણી ફાઉન્ડેશન તરફથી વેલાવાળી શાકભાજી માટે ‘માંડવા’ બનાવવાનો સહયોગ અને કિચન ગાર્ડનની કીટ મળી. હવે સફળતાપૂર્વક ૧૨ પ્રકારના શુદ્ધ શાકભાજી ઉગાડે છે. તેમના ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ પણ તેમની પીઠ થાબડી છે.
કૈલાશબેનનું બજાર કૌશલ્ય પણ એટલું જ ખીલ્યું છે. સુરતના વેસુ સ્થિત ‘પ્રાકૃતિક ખેતી બજાર’માં કાયમી સ્ટોલ દ્વારા તેઓ સીધા શહેરી ગ્રાહકો સાથે જોડાયા છે. આજે તેમની માસિક આવક ₹૨૫,૦૦૦ સુધી પહોંચી છે. આ આર્થિક સ્વતંત્રતાનો ઉપયોગ તેમણે પોતાની ત્રણ દીકરીઓના શિક્ષણ માટે કર્યો છે. તેમની એક પુત્રી MSW થઈ છે, બીજી નર્સિંગમાં કારકિર્દી બનાવી રહી છે, અને ત્રીજી ધોરણ ૧૨માં અભ્યાસ કરી રહી છે.
કૈલાશબેનની સફળતામાં તેમના પતિનો અતૂટ સાથ રહ્યો છે. કૈલાશબેન સાબિત કરે છે કે સ્ત્રી જો ધારે તો ધરતીમાંથી પણ સોનું પેદા કરી શકે છે અને પોતાના પરિવારના સપનાઓને પાંખો આપી શકે છે. એકલા કૈલાશબેનન જ નથીં, એમના જેવી અનેક ગૃહિણીના જીવનમાં બદલાવ આવ્યો છે જ્યારથી એમને અદાણી ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે. સુરતનો ચોર્યાસી તાલુકો શાકભાજી ઉત્પાદન માટે દાયકાઓથી જાણીતું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા વિસ્તાર અને આદિવાસી બહુલ ઉમરપાડા તાલુકામાં ૬૦થી વધુ મહિલાઓને સશકત કરી રહ્યું છે.



