ગુજરાત

બારડોલી નગપાલિકા વિસ્તારના અસ્તાન ખાતે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત અસ્તાન રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

બારડોલી નગપાલિકા વિસ્તારના અસ્તાન ખાતે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત અસ્તાન રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

 બારડોલી તાલુકામાં આવનાર સમયમાં અન્ય પાંચ રેલવે ઓવરબ્રિજ અને અન્ડરપાસનું નિર્માણ થશે:
ઓવર બ્રિજના નિર્માણથી ૧.૨૫ લાખની વસ્તીને સીધો ફાયદો થશે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન પાસે આવેલ હયાત એલ.સી.નં.-૨૫ ઉપર રેલ્વે વિભાગના પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ની વચ્ચે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, કડોદરાથી બારડોલી સુધીના ૧૭.૫ કિમીના ફોર લેન રસ્તાને હવે સિક્સ લેન બનાવવા રૂ.૬૪.૧૫ કરોડની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેનાથી કડોદરા-બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. વધુમાં શ્રી પરમારે કહ્યું હતું કે, બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે, તેનથી બાબેન રોડ, ગંગાધરા-કારેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. ચલથાણ ખાતે નવા અન્ડરપાસનું નિર્માણ થશે. આ ઉપરાંત, મિઢોળા નદી પરના જૂના બ્રિજની બંને બાજુએ નવા બ્રિજ બનાવીને ટ્રાફિકની અવરજવર હળવી કરવામાં આવી છે.
વધુમાં ઉમેર્યું હતું કે, અસ્તાન ઓવરબ્રિજના નિર્માણ થવાથી બારડોલી, કડોદ, માંડવી, મઢી અને ગલતેશ્વર તરફ જતા અંદાજે સવા લાખ જેટલા લોકોને સીધો લાભ થશે. આ સુવિધાના પરિણામે લોકોના સમયની બચત થશે અને ઈંધણના ખર્ચમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી સ્થાનિક વેપાર-રોજગાર અને મુસાફરીમાં મોટી સરળતા ઊભી થશે, જે બારડોલી પંથકના વિકાસને નવી ગતિ આપશે.
પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા એ જણાવ્યું હતું કે, બારડોલી અને સુરત વચ્ચેની કડી હવે વધુ મજબૂત બની છે. ગંગાધરાનો એ પહેલો ઓવરબ્રિજ હોય કે અસ્તાનથી મઢી સુધી લંબાયેલો આ વિકાસના માર્ગથી હવે અંતર ઘટ્યું છે. બારડોલી તાલુકામાં રૂ.૬૩ કરોડના ખર્ચે બે મોટા ઓવરબ્રિજ બની રહ્યા છે. બારડોલીથી મહુવા (અનાવલ) સુધીના ફોરલેન રસ્તાનું કામ પ્રગતિ હેઠળ છે.
પ્રસંગે દક્ષિણ ગુજરાત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર એસ.ડી. વસાવા, બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, બારડોલીના મામલતદાર કલ્પનાબેન, GIDCના અધિકારી જે. ડી. પટેલ, ચીફ ઓફિસર, જિલ્લા સંગઠન મહામંત્રી, બારડોલી સંગઠનના પ્રમુખ, તા. સંગઠનના પ્રમુખ ડો.આનંદભાઈ, મહામંત્રી નિસર્ગભાઈ, અંકુર દેસાઈ, ધર્મેશ પટેલ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, રોહિતભાઈ, વહીવટી તંત્રના અધિકારી કર્મચારીગણ, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button