અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ

વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં સાર્થક ઉજવણી
અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનો પ્રારંભ

નેત્રંગ, ભરૂચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે મહિલા સશક્તિકરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અદાણી દહેજ પોર્ટના સીઓઓ (COO) કેપ્ટન ધરમ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી મહિલા ખેડૂતોની પોતાની માલિકીની “આદિ સમૃદ્ધિ પ્રોડ્યુસર કંપની” નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન કેપ્ટન ધરમ પ્રકાશે જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું આર્થિક અને સામાજિક રીતે સશક્ત હોવું અનિવાર્ય છે. તેમણે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધી સ્વવિકાસ માટે કાર્ય કરવા પ્રેરણા આપી હતી.
નાબાર્ડના DDM શ્રીમતી સુજા સીબુએ ગ્રામ્ય મહિલાઓને સ્વસહાય જૂથો (SHG) અને પ્રોડ્યુસર કંપનીઓ દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. લલિત પાટીલે આધુનિક કૃષિ પદ્ધતિઓ અને મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવારે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે ‘આદિ સમૃદ્ધિ’ કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મહિલાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. હાલ કંપનીમાં 10 બોર્ડ મેમ્બર છે અને ૫૦૦ મહિલાને એના શેર હોલ્ડર બનાવવાની યોજના છે. હતું, જે તમામ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સખી મંડળની બહેનોએ અદાણી ફાઉન્ડેશનના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલથી નેત્રંગ વિસ્તારની મહિલા ખેડૂતો માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખુલશે.



