ગુજરાત

વડતાલધામમાં મકરસંક્રાંતિ પર્વે નૂતન ગૌશાળામાં ભવ્ય ગૌપૂજા અને અન્નકૂટ મહોત્સવ

વડતાલધામમાં મકરસંક્રાંતિ પર્વે નૂતન ગૌશાળામાં ભવ્ય ગૌપૂજા અને અન્નકૂટ મહોત્સવ

 

વડતાલધામ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલધામ ખાતે મકરસંક્રાંતિના પાવન પર્વે વડતાલ મંદિરની નૂતન ગૌશાળામાં સંતો તથા હરિભક્તો દ્વારા ભવ્ય ગૌપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૌસેવા સાથે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું મનોહર દર્શન થયું હતું.

 

વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે તા. 14 બુધવારના રોજ મકરસંક્રાંતિના પવિત્ર પુણ્યકાળે ગોમતી તીરે આવેલી નૂતન ગૌશાળામાં 310 ગાયોની સંતો તથા હરિભક્તો દ્વારા પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી. પૂજનવિધિ પુરોહિત કિશોરભાઈ ભટ્ટે કરાવી હતી. ગૌપૂજન બાદ આરતી ઉતારવામાં આવી અને ગાયોને ઘઉંની ઘૂઘરીના લાડુ, સુખડી તથા લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી સાથે કોઠારી દેવપ્રકાશસ્વામી, શ્રી વલ્લભ સ્વામી, હરિચરણસ્વામી (અમેરિકાવાળા), શ્યામવલ્લભસ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ઘનશ્યામ સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, કે.પી. સ્વામી, ગોવિંદભાઈ ઠક્કર, લાલાભાઈ ઠક્કર સહિત અનેક સંતો અને હરિભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી ગૌશાળાની નિષ્ઠાપૂર્વક સેવા કરતા પવિત્ર સ્વામીનું ચેરમેનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 

તારાપુરના હરિભક્ત ગોવિંદભાઈ ઠક્કર તથા લાલાભાઈ ઠક્કર પરિવાર દ્વારા સ્વ. હસુમતીબેન ગોવિંદભાઈ ઠક્કર અને સ્વ. વૃંદાબેન નિલેશભાઈ ઠક્કરની સ્મૃતિમાં એક ગાયનું દાન, ઘાસચારો તથા રોકડ રકમનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડતાલના સંત પૂજારી હરિચરણસ્વામી અને શ્રી વલ્લભ સ્વામીએ પણ ગૌશાળાને દાન અર્પણ કર્યું હતું.

વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી ધર્મભક્તિ-વાસુદેવ, શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી રણછોડરાય, શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણદેવનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર માનવમેદનીથી છલકાઈ ઉઠ્યું હતું. સવારે હજારો હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મુખ્ય કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી વડતાલ નીજ મંદિરમાં દેવોને 1000 કિલો બોરનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સંક્રાંતિના પર્વ નિમિત્તે તલના લાડુ, શેરડી અને લીલાચણા (પોપટી) પણ ધરાવવામાં આવ્યા હતા. સવારે 5:30 થી રાત્રે 9:00 વાગ્યા સુધી હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ઝોળીપર્વનું વિશેષ મહત્વ છે. આ પર્વ દરમિયાન સંતો તથા હરિભક્તો દ્વારા હરિભક્તોના ઘરે-ઘરે જઈ ઝોળીપર્વ ઉઘરાવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button