કૃષિ

પ્રાકૃતિક ખેતી થકી વધારો કપાસનું ઉત્પાદન

પ્રાકૃતિક ખેતી થકી વધારો કપાસનું ઉત્પાદન
ખેતીની આ પદ્ધતિ આપણને પ્રકૃતિની નજીક લઈ જાય છે અને આવનારી પેઢીઓ માટે પર્યાવરણનું જતન પણ કરે છે
કપાસ એ ગુજરાત સહિત ભારતનો મુખ્ય રોકડીયો પાક છે, જેને દેશનાં લાખો ખેડૂતો પરંપરાગત અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા ઉગાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કપાસની ખેતીનો ખર્ચ, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો અને જંતુનાશકોની પર્યાવરણ અને આરોગ્ય પર થતી વિપરીત અસરોને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક શક્તિશાળી વિકલ્પ તરીકે ઉભરી રહી છે, જે માત્ર ઇકો-ફ્રેન્ડલી જ નથી, પરંતુ ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે.
પ્રાકૃતિક ખેતીનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે ખેતરમાં કોઈ પણ રાસાયણિક ખાતરો, જંતુનાશકો અથવા બાહ્ય રીતે ખરીદેલા ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેનાં બદલે, ખેતરમાં ઉપલબ્ધ સંસાધનો ધરાવતાં જૈવિક ઉકેલો જેમ કે દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, પાંદડા, પાકનાં અવશેષો અને મૂળ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાકૃતિક કપાસની ખેતીની શરૂઆત ખેતરનાં ઊંડા ખેડાણથી થાય છે, જેમાં જમીનને ખુલ્લી રાખવા અને બેક્ટેરિયા સક્રિય રાખવા માટે જીવામૃત ઉમેરવામાં આવે છે. આ જીવામૃત દેશી ગાયનાં છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને થોડી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેનાથી જમીનમાં કુદરતી સૂક્ષ્મજીવોની સંખ્યા વધે છે.
કપાસની વાવણી કરતાં પહેલાં બીજ ઉપચાર પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. પ્રાકૃતિક ખેતીમાં તેની સારવાર બીજામૃત દ્વારા કરવામાં આવે છે, જે બીજને રોગોથી બચાવે છે અને અંકુરણ વધુ સારું કરે છે. વરસાદી પાણીનો સંપૂર્ણ લાભ મેળવવા માટે ચોમાસાનાં શરૂઆતનાં દિવસોમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. મલ્ચિંગ ખેતરની સપાટીને સૂકા પાંદડાં અને ઘાસ જેવાં કાર્બનિક પદાર્થોથી ઢાંકીને કરવામાં આવે છે જે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે અને તેનાથી નીંદણ પણ ઓછું ઉગે છે.
કપાસ એ લાંબા ગાળાનો પાક છે, તેથી તેને સમયાંતરે પોષણની જરૂર પડે છે. આ માટે જીવામૃત કે ઘનજીવામૃતનો ઉપયોગ દર પંદર-વીસ દિવસનાં અંતરે કરવામાં આવે છે. તેનાથી છોડને જરૂરી પોષક તત્વો તો મળે જ છે, સાથે સાથે છોડની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. માટી સંજીવ જેવા પ્રવાહી જૈવ-દ્રાવણનો ઉપયોગ કપાસના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
કપાસની ખેતીમાં જીવાતો અને રોગ આવવા એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ રાસાયણિક જંતુનાશકોને બદલે, પ્રાકૃતિક ખેતી જંતુઓને નિયંત્રણમાં રાખવા માટે લીમડાનું તેલ, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવાં ઘરેલું ઉકેલોનો ઉપયોગ કરવામાં આવે છે જે ફાયદાકારક જીવાતોને નુકસાન પહોંચાડતી નથી અને નુકશાનકારક જીવાતોનો નાશ કરે છે.
કપાસ પાક્યા પછી તોડવામાં આવે છે, જે સામાન્ય રીતે બે કે ત્રણ તબક્કામાં થાય છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કપાસની ગુણવત્તા ઘણી સારી છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું રસાયણ હોતું નથી. તેથી, જ્યાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ હોય તેવાં બજારમાં તે વધુ કિંમત મેળવે છે. જો ઉપજ થોડી ઓછી હોય તો પણ ઓછા ખર્ચ અને સારા ભાવ મળવાથી ખેડૂતને એકંદરે ફાયદો થાય છે.
આમ પ્રાકૃતિક ખેતી દ્વારા કપાસનું વાવેતર કરવાથી ખેડૂતની આવક સારી થાય છે એટલું જ નહીં પરંતુ જમીનનાં આરોગ્ય માટે પર્યાવરણ અને લોકોનાં આરોગ્યની રક્ષા માટે વરદાનરૂપ બની રહે છે. ખેતીની આ પદ્ધતિ આપણને પ્રકૃતિની નજીક લઈ જાય છે અને આવનારી પેઢીઓ માટે પર્યાવરણનું જતન પણ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button