સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી

સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી

ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ૧૫ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન ‘પોષણ પખવાડિયા’ની ભવ્ય અને અસરકારક ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય સૂર આદિવાસી સમાજમાં માતા અને બાળકના આરોગ્યમાં ગુણાત્મક સુધારો લાવી, કુપોષણમુક્ત સમાજનું નિર્માણ કરવાનો રહ્યો છે.
આ પખવાડિયા દરમિયાન ઉમરપાડાના દુર્ગમ ગામડાઓમાં પરિવાર માર્ગદર્શન, સમૂહ ચર્ચા અને પૌષ્ટિક વાનગીઓના પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા હતા. આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક ભોજન પદ્ધતિને ધ્યાનમાં રાખીને ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સંતુલિત આહારનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મિશનની સફળતામાં ‘સુપોષણ સંગિનીઓ’ એ પાયાની ભૂમિકા ભજવી છે. આ તાલીમબદ્ધ મહિલાઓએ ઘરે-ઘરે જઈને સરળ આદિવાસી બોલીમાં પોષણ અને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો છે. સરકારના ICDS વિભાગના સહયોગથી આ આંદોલને વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે.
અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ મુજબ, આ માત્ર ઔપચારિક ઉજવણી નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી માટેનું એક જન-આંદોલન છે. આ પહેલ દ્વારા લોકોમાં પૌષ્ટિક આહાર, સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉમદા પહેલથી ઉમરપાડાના નબળા વર્ગોમાં પોષણ સ્તર સુધરશે અને એક સશક્ત આદિવા સી સમાજનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



