શિક્ષા

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરને ઉત્કૃષ્ટ યોગદાન બદલ એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરને ઉત્કૃષ્ટ યોગદાન બદલ એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે શિક્ષણ માટેની પ્રતિબદ્ધતાને બહુમાન

અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ વિદ્યામંદિરને “એજ્યુકેશન એક્સેલન્સ- એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ 2024” થી નવાજવામાં આવ્યું છે. એવોર્ડ સમારંભના મુખ્ય અતિથિ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.સુભાષ સરકારના હસ્તે આ બહુમાન કરવામાં આવ્યું હતું. 

ચાલુ વર્ષે ભારતીય શાળાઓના શિક્ષણમાં ‘એજ્યુકેશન એક્સેલન્સ- એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’ની 2જી આવૃત્તિમાં AVMBના ઉત્કૃષ્ટ પ્રદર્શને મેદાન માર્યુ છે. ગુરૂવાર(8 ફેબ્રુઆરી)એ નવી દિલ્હી ખાતે આયોજીત સમારંભમાં અદાણી વિદ્યામંદિર-ભદ્રેશ્વર(AVMB)ને એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. વંચિત વર્ગના બાળકોના શિક્ષણમાં ઉત્થાન માટે ઉમદા અને અપ્રતિમ યોગદાન બદલ AVMBને પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા નવાજવામાં આવ્યું છે. 

વર્ષ 2012 થી AVMB દ્વારા માછીમારો અને આર્થિક રીતે પછાત સમુદાયોના બાળકોને મફત, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત અને ઉમદા પહેલ કરવામાં આવી છે. અનપ્રીવિલેજ્ડ શાળાની કેટેગરીમાં ઉચ્ચ-ગુણવત્તાયુકત અને ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવાના નિષ્ઠાવાન પ્રયાસો બદલ AVMBને બહુમાન આપવામાં આવ્યું છે. 

અદાણી વિદ્યામંદિરના આચાર્ય આશુતોષ ઠાકરે જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી અમે આનંદ સાથે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અદાણી વિદ્યામંદિર દ્વારા વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરતી શિક્ષણ પ્રણાલી વિકસાવવામાં આવી છે. વિધાર્થીઓના ભાવિને શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નત બનાવવા AVMB યોગદાન આપવા પ્રતિબદ્ધ છે”.

AVMBનો ઉદ્દેશ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં નિપુણતા સાથે વંચિત વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને ઉન્નત કરવાનો છે. તેમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં અભ્યાસરત 602 વિદ્યાર્થીઓ પૈકી 164 વિદ્યાર્થીઓ માછીમાર સમુદાયોના છે. સર્વગ્રાહી, ગુણવત્તાયુક્ત અને નિ:શુલ્ક શિક્ષણ માટે પ્રતિબદ્ધ AVMB વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો અને સ્ટેશનરી પણ વિનામૂલ્યે પ્રદાન કરે છે.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ NABET તરફથી માન્યતા મેળવનારી ગુજરાતની પ્રથમ રાજ્ય બોર્ડ સ્કૂલ હોવાને કારણે AVMB ટ્રેલબ્લેઝર તરીકે ઉભરી આવી છે. અગાઉ શાળાને પ્રતિષ્ઠિત અવંતિકા રાષ્ટ્રીય મહાત્મા સન્માન – 2020 પણ પ્રાપ્ત થયું છે.

અદાણી ફાઉન્ડેશન સંચાલિત AVMB વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિ કેન્દ્રો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, પુસ્તકાલય, કોમ્પ્યુટર્સ, પ્રયોગશાળા, આર્ટ અને ક્રાફ્ટ રૂમ, સંગીત ક્લાસ જેવી વિવિધ સુવિધાઓ ધરાવે છે. શાળાના સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને એક જવાબદાર નાગરિક બનવા પ્રશિક્ષિત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button