ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની હેલ્પલાઇન સેવાની મુલાકાત લીધી

ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતેની હેલ્પલાઇન સેવાની મુલાકાત લીધી
પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓ અને નાગરિકોની નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા કરાયેલ વિશેષ સેવા
ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને ઇજાગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી વિશેષ હેલ્પલાઇન સેવાની તા.૧૪ જાન્યુ.ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત નાગરિકોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તેમણે પ્રશંસા કરી હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓને સરથાણા બેઝ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જળશક્તિ મંત્રીશ્રીએ આ તમામ સેવાભાવી સંસ્થાઓ અને કર્મચારીઓના સમર્પણને બિરદાવતા જણાવ્યું હતું કે, તહેવારના સમયે માનવતા અને જીવદયાનું આ કાર્ય પ્રશંસનીય છે.
આ પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, નવી સિવિલના CMO ડો.ભરતભાઈ ચાવડા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, સંજય પરમાર, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ, વન વિભાગની ટીમ, પશુ-પક્ષીઓના તબીબો, સ્વયંસેવક સન્ની રાજપુત સહિત સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.



