થાઇલેન્ડનું થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

થાઇલેન્ડનું થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
થાઇલેન્ડનું એક થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે છે. બુધવારે સાંજે આ પ્રતિનિધિ મંડળ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું.
આ પ્રતિનિધિ મંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે SoUADTGA ના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ બુકેથી સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદ પૂજા કરી વ્યૂઈંગ ગેલેરીમાંથી નર્મદા નદી, સરદાર સરોવર ડેમ, સાતપૂડા અને વિંધ્યાચલની ગિરીમાળાનું લીલી વરનાજીથી ખિલેલું પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું. સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિએ મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી હતી. તેઓમે એકતાનગરની યાદગીરી રૂપે અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાએ સરદાર સાહેબની પ્રતિકૃતિની ભેટ આપી હતી. આ પ્રતિનિધિ મંડળે સરદાર સાહેબના જીવન કવનને પ્રસ્તુત કરતો લેશર શો નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
એકતાનગરની મુલાકાતે આવેલા આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના ૭ નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસ, પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. નર્મદા જિલ્લાની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળ તેમના નિર્ધારિત આગળના પ્રવાસ માટે જવા રવાના થયું હતું.