કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને એવીપીએલ ઈન્ટરનેશનલ-ગુરૂગ્રામના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી કાર્યક્રમ યોજાયો
૧૮ થી ૪૫ વર્ષની વયના ધો.૧૦ પાસ ૧૦૦થી વધુ ખેડૂતોએ તાલીમમાં ભાગ લીધો: કિસાન ડ્રોન ઓપરેટર તાલીમમાં ખેડૂત પરિવારની દિકરીઓ વધુ પ્રમાણ જોડાઈ

સુરતઃબુધવાર: નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને એવીપીએલ ઈન્ટરનેશનલ-ગુરૂગ્રામના સંયુક્ત ઉપક્રમે પનાસ બી.આર.ટી.એસ રોડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ધો.૧૦ પાસ ૧૦૦થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો
આ પ્રસંગે KVK ના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં ટેક્નોલોજીના માધ્યમથી કૃષિમાં કિસાન ડ્રોનના ઉપયોગની શરૂઆત થઈ છે, ત્યારે ખેડૂતો પગભર બની ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે. કિસાન ડ્રોન વિશે જાણકારી ન ધરાવતા ખેડૂતોને જાગૃત કરવાનો આ કાર્યક્રમનો આશય છે. કાર્યક્રમમાં જોડાયેલા ૧૦૦ ખેડુતો પૈકી ૫૦ ટકા સંખ્યા ખેડૂત પરિવારની દિકરીઓ છે, જે ગૌરવની વાત છે. કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃત્તિ પહેલ ખેડૂતોની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે.
આ પ્રસંગે એવીપીએલ ઈન્ટરનેશનલ-ગુરૂગ્રામના ગુજરાત હેડશ્રી હરેન ગાંધીએ જાણાવ્યું હતું કે, ખેડૂતો નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૃષિ ઉત્પાદનામાં વધારો કરી આત્મનિર્ભર બની શકશે. સમયના વ્યય વિના ઓછી મહેનતે ઉન્નત ખેતી માટે કિસાન ડ્રોન તાલીમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ડ્રોન થકી ખેતરમાં ઓછા સમયમાં સહેલાઈથી દવાનો છંટકાવ કરી શકાશે, જેથી તમામ ખેડુતો મિત્રોએ આધુનિક યુગમા નવી ટેક્નોલોજીયુક્ત કિસાન ડ્રોન પદ્ધતિ અપનાવી જોઈએ.