શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, કીમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, કીમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
આંતરિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગ એક અમૂલ્ય વરદાન છે – બીપીનભાઈ જરીવાલા
કીમ, તા. 21 જૂન – શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, કીમ ખાતે આજ રોજ 21મી જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ સત્ર યોજાયું. આજના દિવસે વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પવિત્ર ઉદ્દેશ રાખી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સુરતના જાણીતા યોગ તજજ્ઞ શ્રી બીપીનભાઈ જરીવાલાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ આપી. તેમણે યોગ દ્વારા માનો અને તનને કેવી રીતે સંતુલિત અને સ્વસ્થ રાખી શકાય તે અંગે માહિતગાર કર્યું.
શાળાના માનનીય ટ્રસ્ટી શ્રી તેજેન્દ્રભાઈ સાવલિયા, આચાર્યશ્રી, તમામ શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ આ દિવસને સફળ બનાવ્યો.
શાળાના મેદાનમાં યોજાયેલ આ યોગ સત્રમાં યોગાસન, શ્વાસ નિયંત્રણ, ધ્યાન તથા મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. શ્રી બીપીનભાઈએ જણાવ્યું કે, “યોગ માત્ર કસરત નહીં, પણ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ માર્ગ છે, જે માનસિક શાંતિ, એકાગ્રતા અને આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે.”
શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું કે, “શ્રેષ્ઠ શિક્ષણ સાથે આરોગ્યપૂર્ણ જીવનશૈલી વિકસાવવી એ અમારી શાળાની પ્રતિબદ્ધતા છે.”
વિશ્વ યોગ દિવસની આ ભવ્ય ઉજવણીમાં યોગના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું અને બાળકોમાં સ્વસ્થ જીવન માટેના સંસ્કાર રોપાયા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો.