ધર્મ દર્શન

સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર

પાવન પર્વ નવરાત્રિ: બીજું નોરતું

૧૯૬૮ની રેલમાં મંદિર ડૂબી ગયા છતાં મંદિરમાં નુકસાન થયુ ન હતું: ગ્રામજનો અને રાજ્ય સરકારની સહાયથી વર્ષ ૨૦૦૮માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો

મંદિરમાં મહાલક્ષ્મી માતાની ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે

૭૭ વર્ષીય વયોવૃદ્ધ પ્રકાશચંદ્ર ભટ્ટ મંદિરની સારસંભાળ લઈ રહ્યા છે, તેમના વડવા પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા

સુરતઃસોમવારઃ સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે પુર્ણા નદીના કિનારે માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ૩૦૦ વર્ષ જુનુ મંદિર આવેલું છે, જે ઈ.સ ૧૯૬૮મા આવેલી રેલમાં આખું ડૂબી ગયા છતાં મંદિરમાં ચમત્કારી રીતે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. વર્ષ ૨૦૦૮માં ગ્રામજનો અને સરકારની સહાયથી મંદિરનું પુનઃનિર્માણ કરાયું હતું. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીની અંદાજિત ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે, તેમજ ડાબી બાજુ ખોડિયાર માતાજી અને જમણી બાજુ અંબે માતાજીની નવનિર્મિત મુર્તિ પ્રસ્થાપિત છે. જેનો ઈતિહાસ મહુવા ગામમાં રહેતા ૭૭ વર્ષીય પ્રકાશચંદ્ર રમેશલાલ ભટ્ટે વર્ણવ્યો હતો. પ્રકાશભાઈના વડવાઓ પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા.

મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે પ્રકાશચંદ્રભાઈએ કહ્યું હતું કે, આ મંદિરનો ઉલ્લેખ મારા દાદાના દાદાના વેચાણખતમાં મળી આવ્યો છે. આ મંદિર મારા વડવાએ ૫ બાય ૫ની સાઈઝમાં બનાવી એમાં પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરી હતી, અને આગળ પણ અમારી પેઢી દર પેઢી આ મંદિરની રક્ષા અને પૂજા ભક્તિ કરશે એવું વેચાણખતમાં મળી આવ્યું છે. જેથી મને આ મંદિરના ભવ્ય પૂન:નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. ગ્રામજનો પાસે મેં મંદિરના પુનઃનિર્માણ માટે પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં સૌ જોડાયા અને ગ્રામપંચાયતના માર્ગદર્શન તેમજ સહાય દ્વારા મંદિરનો વર્ષ ૨૦૦૮માં જીર્ણોદ્વાર થયો. ગ્રામપંચાયતના ઠરાવ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મંદિરના આજુબાજુ વિસ્તારને વિકસાવામાં આવ્યો છે.

આ મંદિરમાં અનેક લોકો માનતા માને છે, જેમનું કાર્ય સફળ થાય તે મંદિરે આવી પૂજા અર્ચના કરે છે. લોકોની બાધા-માનતા પુર્ણ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button