કતારગામમાં રત્નમાલા અને ગજેરા જંક્શનને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

કતારગામમાં રત્નમાલા અને ગજેરા જંક્શનને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

સુરત મહાનગરપાલિકાએ ‘બ્રિજ સિટી’ તરીકે આગવી ઓળખ મેળવી છે: દેશમાં સૌથી વધુ ફ્લાયઓવર બ્રિજ ધરાવતું શહેર સુરત છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં નિર્માણ પામેલા રત્નમાલા જંક્શન અને ગજેરા જંક્શનને જોડતા એક તરફના ટુ-લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
મેયર શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા વિશેષ ઉપસ્થિતિમાં કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન પર ઈ.પી.સી. (EPC- Engineering, Procurement & Construction) પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ ૪-લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના ૨-લેન બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુવિધા એ સુરત મહાનગરપાલિકાની પ્રાથમિકતા રહી છે. સુરત મહાનગરપાલિકાએ ‘બ્રિજ સિટી’ તરીકે આગવી ઓળખ મેળવી છે. દેશમાં સૌથી વધુ ફ્લાયઓવર બ્રિજ ધરાવતું શહેર સુરત છે. આજે તા.૨૨મીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિન છે, ત્યારે આ શુભ દિને બ્રિજનું લોકાર્પણ થવાથી વાહનચાલકોની સુવિધામાં વધારો થશે.
આગામી બે માસમાં અમરોલી બ્રિજથી કાંસાનગરને જોડતા બીજી તરફના બે લેન બ્રિજનું લોકાર્પણ કરવાનું મનપાનું આયોજન હોવાનું મેયર દક્ષેશ કિશોરભાઈ માવાણીએ જણાવ્યું હતું.
ટ્રાફિક સમસ્યામાંથી મળશે મોટી રાહત: ૧૨ લાખ જેટલા વાહનચાલકોને ફાયદો થશે

૪ લેનના આ બ્રિજ રૂ.૬૨.૮૪ કરોડના ખર્ચે બની રહ્યો છે, જેમાં રૂ.૩૧.૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બે લેનનો રત્નમાલા બ્રિજ શરૂ થવાથી અમરોલી અને કતારગામ વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે અને જંક્શન પર થતા ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. ૧૨ લાખ જેટલા વાહનચાલકોનું આવાગમન સુગમ અને સરળ થશે અને તેમના સમય અને ઇંધણની બચત થશે.



