મેદસ્વિતામુક્ત ગુજરાત: મેદસ્વિતા ઘટાડવામાં યોગનું યોગદાન

- મેદસ્વિતામુક્ત ગુજરાત: મેદસ્વિતા ઘટાડવામાં યોગનું યોગદાન
- ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ના લક્ષ્યને સાકાર કરવામાં યોગ, પ્રાણાયામની મહત્વની ભૂમિકા
- મેદસ્વિતા દૂર કરવા માટે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન અને પશ્ચિમોત્તાનાસન જેવા યોગાસનો ખૂબ ઉપયોગી
- શ્વાસ પર નિયંત્રણ લાવીને શરીર અને વજન બંને પર નિયંત્રણ મેળવી શકાય છે
આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. ગુજરાતમાં પણ બદલાતી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે મેદસ્વિતાના કેસમાં વધારો જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે યોગ એક અસરકારક, સરળ અને સ્વાભાવિક ઉપાય છે. “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.યોગ માત્ર શારીરિક કસરત અને મન, શરીર અને આત્માને સંતુલિત કરવાની પ્રાચીન પદ્ધતિ છે. મેદસ્વિતા દૂર કરવા માટે સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, ધનુરાસન અને પશ્ચિમોત્તાનાસન જેવા યોગાસનો ખૂબ ઉપયોગી છે. આ આસનો શરીરની ચયાપચયની પ્રક્રિયાને વેગ આપે છે, ચરબી ઘટાડે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. ઉદા. તરીકે, સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ શારીરિક કસરત છે, જે શરીરના દરેક ભાગને સક્રિય કરે છે અને લવચીકતા વધારે છે.
પ્રાણાયામ જેવી શ્વસન ક્રિયાઓ, જેમાં કપાલભાતિ અને અનુલોમ-વિલોમનો સમાવેશ થાય છે, તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તણાવ એ મેદસ્વિતાનું એક મુખ્ય કારણ છે, કારણ કે તે ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સને અસર કરે છે. યોગ દ્વારા મનની શાંતિ અને એકાગ્રતા વધે છે, જે અતિશય ખાવાની આદતોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ સઘન પ્રયાસો કરી રહ્યા છે.
સ્વસ્થ અને સુખી જીવનની ચાવી સમાન યોગને રોજિંદા જીવનમાં સામેલ કરવું સરળ છે. દરરોજ માત્ર 20-30 મિનિટનું યોગ સત્ર શરીર અને મનને સ્વસ્થ રાખી શકે છે. નાગરિકોએ યોગને જીવનશૈલીમાં સ્થાન આપવા જાગૃત્ત થવું જોઈએ, જેથી “મેદસ્વિતા મુક્ત ગુજરાત”નું સ્વપ્ન સાકાર થઈ શકે.
પ્રાણાયામ વિષે વાત કરીએ તો પ્રાણાયામ એટલે શ્વાસની વિધિવત કસરત. યોગશાસ્ત્ર મુજબ નિયમિત અને સચોટ રીતે કરાયેલા પ્રાણાયામથી શરીર અને મન વચ્ચે સંતુલન જળવાય છે. ઘણા પ્રકારના પ્રાણાયામ એવા છે જે શરીરના મેટાબોલિઝમને સુધારવા, ચરબી ઓગાળવા અને હોર્મોનલ સંતુલન લાવવામાં મદદરૂપ થાય છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
વજન ઘટાડવા માટે ઉપયોગી પ્રાણાયામ
. . . . . . . . . . . . . .
1. કપાલભાતિ પ્રાણાયામ
o નાભિ ક્ષેત્રની ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
o પાચન તંત્ર અને લિવર સક્રિય બને છે.
o દિવસમાં 5–15 મિનિટથી શરૂ કરો. પેટ અંદર ખેંચીને ઝડપી ઉચ્છવાસ છોડો.
2. ભસ્ત્રિકા પ્રાણાયામ
o વધુ ઓક્સિજનથી શરીર સક્રિય થાય છે. ઊર્જા વધે છે અને મન શાંત રહે
o શરીરમાં તાપમાન વધે છે, ફેટ બર્ન થાય છે.
3. અનુલોમ વિલોમ
o હોર્મોનલ બેલેન્સ રાખે છે.
o માનસિક તણાવ દૂર થાય છે, જે ભાવનાત્મક ખોરાક (emotional eating) ઓછું કરે છે.
4. ઉજ્જાઈ પ્રાણાયામ
o થાયરોઈડ ગ્લાન્ડને સક્રિય કરે અને મેટાબોલિઝમ સુધારે છે.
o ખાસ કરીને હાઈપોથાયરોઈડ વાળા માટે લાભદાયી.
5. સૂર્ય ભેદન પ્રાણાયામ
o શરીરમાં તાપમાન અને પાચનશક્તિ વધે છે.
o ચરબી ઓગાળવામાં ઉપયોગી.
પ્રાણાયામ ખાલી પેટ કરો અથવા જમ્યા બાદ ૩ કલાક પછી કરો. પ્રાણાયામમાં નિયમિતતા સૌથી વધુ જરૂરી છે. દમ, બ્લડ પ્રેશર કે અન્ય શ્વાસ સંબંધિત રોગ હોય તો યોગ કોચના માર્ગદર્શન હેઠળ કરો. પ્રાણાયામ સાથે હળવા યોગાસન, યોગ્ય આહાર અને પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે.