પ્રભુ મહાવીરના ૨૫૫૦મા નિર્વાણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધો. ૬ થી ૧૨ના ૫૬ લાખ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા

પ્રભુ મહાવીરના ૨૫૫૦મા નિર્વાણ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતના ધો. ૬ થી ૧૨ના ૫૬ લાખ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા
ધો. ૬ થી ૮ અને ધો. ૯ થી ૧૨ બંને વિભાગના રાજ્યકક્ષાના વિજેતાઓ માટે ૫-૫ લાખનું ઈનામ
સુરત
આ વર્ષ ભગવાન મહાવીરના નિર્વાણનું ૨૫૫૦મું વર્ષ છે. કેન્દ્ર સરકાર દ્વારા એ નિમિત્તે વિવિધ ઉજવણીની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. તેથી આ નિમિત્તે અધ્યાત્મ પરિવાર નામની જૈન સંસ્થાએ સમગ્ર ગુજરાતના ધોરણ ૬ થી ૧૨ ના વિધાર્થીઓ માટે ભગવાન મહાવીરનું જીવન અને ઉપદેશો વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આંયોજન કર્યું છે. આ સ્પર્ધા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી લેવામાં આવી છે. ગુજરાતની સરકારી અને ખાનગી અંદાજે 30000 જેટલી શાળાઓમાં આ માટેનો
સરકારી પરિપત્ર મોકલાયો છે. ધો. ૬ થી ૮ ના છાત્રોએ ૫૦૦ શબ્દોમાં અને ધો. ૯ થી ૧૨ ના છાત્રોએ ૮૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો છે.
આ સ્પર્ધાનો સમયગાળો ૮ ઓક્ટોબરથી ૧૬ ઓક્ટોબર સુધીનો છે. સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગમાંથી તાલુકા કક્ષાએ ત્રણ-ત્રણ વિજેતાઓને ક્રમશ: ૧૨૫૦/-, ૭૫૦/- અને ૫૫૦/- ના ઈનામો અપાશે ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓ તથા ૪ મહાનગરપાલિકાઓના એક-એક વિજેતાને ૧૨,૫૫૦/- નું ઈનામ અપાશે અને રાજ્યકક્ષાએ બંને વિભાગના ૧-૧ વિજેતાને પ્રથમ ઈનામ ૫,૦૨,૫૫૦/-નું તથા દ્વિતીય ઈનામ ૧,૦૨,૫૫૦/- નું અપાશે.
ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશોની ટૂંકમાં જાણકારી મળી રહે એ માટે એપ્રીલ માસમાં અમદાવાદ ખાતે જેમણે વિક્રમી કહી શકાય એવી ૩૫ જૈન દીક્ષાઓ આપેલી તેવા જૈનાચાર્ય યોગતિલકસૂરિજી દ્વારા લિખિત અને અધ્યાત્મ પરિવાર દ્વારા પ્રકાશિત સાહિત્ય બધી સ્કૂલોમાં પહોંચાડવામાં આવ્યુ છે.
તા. ૨૫ નવેમ્બરના રોજ આ સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને તા. ૩૦ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે મહાનુભાવોની હાજરીમાં જીલ્લા તથા રાજ્યક્ષાના બધા જ વિજેતાઓનો ઈનામ વિતરણનો સમારોહ યોજાશે.
આ યોજનામાં અમદાવાદની વધુમાં વધુ શાળાઓ જોડાય એ માટે મેયરશ્રી પ્રતિમાબહેને પણ અંગત રસ લીધો છે.
આ સ્પર્ધા યોજવા પાછળનો સંસ્થાનો આશય જણાવતા કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ શાહ જણાવે છે કે ભગવાન મહાવીરનું જીવન પ્રજામાં સંસ્કારો રેડવા માટે આદર્શભૂત છે ને તે આદર્શો વધુમાં વધુ બાળકોમાં ઉતરે એ માટે આ સ્પર્ધા યોજી છે.
આ સ્પર્ધામાં કોઈપણ છાત્રો પોતાની શાળા દ્વારા જ જોડાઈ શકશે. કોઈપણ શાળા ૫૦ કે તેથી વધુ સ્પર્ધક પોતાને ત્યાં હશે તો જોડાઈ શકશે. સ્પર્ધાની જાણ લોકોને થયાના ૨૪ કલાકમાં જ ગુજરાતના ખૂણેખૂણેથી આની ઈન્ક્વાયરી માટે કોલ્સ આવી રહ્યા હોવાનું સંસ્થાના અન્ય કો-ઓર્ડીનેટર મનીષભાઈ શાહ જણાવે છે.
એકંદરે આ આયોજનથી ગુજરાતની પ્રજાને ભગવાન મહાવીર અને તેમના ઉપદેશોની ઑથેન્ટીક માહિતી મળશે ને એ માટે જ સંસ્થાએ પ્રચારવાક્ય લખ્યું છે: લખશે ગુજરાત, જાણશે ગુજરાત.