તા. ૩૧ મે- વિશ્વ ટોબેકો નિષેધ દિવસ

તા. ૩૧ મે- વિશ્વ ટોબેકો નિષેધ દિવસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-વેડ રોડ ખાતે ગુટખા, સિગારેટ, ગુટખાની હોળી કરાઈ
WHO અનુસાર દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના લીધે મૃત્યુ પામે છે
ગુજરાતમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મોં ના કેન્સરની તપાસ કરાવે છે, જેમાંથી ૩૩ હજારને મોં નું કેન્સર ડિટેક્ટ થાય છે
વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૩૧મે ને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા બીડી, સિગારેટ, ગુટખાની હોળી કરવામાં આાવી હતી. સિંગણપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય.બી. ગોહિલ તથા ગુરૂકુલના શ્રી પ્રભુ સ્વામી, ભંડારી સ્વામી શ્રી કૃષ્ણપ્રસાદદાસજી, ભગવાનજીભાઈ કાકડીયા તેમજ કાનાભાઈએ ‘ગુટખાની હોળી પ્રગટાવીને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો.
શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, આપણા દેશની યુવા પેઢી વ્યસનની શિકાર બની રહી છે. દુર્વ્યસન એટલે એવી આદત કે જે આપણને ધીમે ધીમે અંદરથી ખોખલા કરી નાખે છે. તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ, ડ્રગ્સ માણસના શરીર અને જીવન માટે ઝેર સમાન છે. રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ. આજે માણસ શત્રુને ડામવા પ્રયત્ન કરે છે, જ્યારે તમાકુના રોગ અને તેના દુષ્પરિણામને જાણવા છતાં જગાડવા પ્રયત્ન કરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે આશ્રિતોએ નિર્વ્યસની જીવન જીવવું. જેમાં દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને વટાળ પ્રવૃત્તિથી સદાય દૂર રહેવા પાંચ પ્રતિજ્ઞા લેવાની હોય છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તેમજ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ હજારો જીવોને નિવ્યર્સની બનાવી સદાચારી જીવન જીવતા કર્યા હતા.
નોંધનીય છે કે, WHO અનુસાર દર વર્ષે લગભગ ૮૦ લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના લીધે મૃત્યુ પામે છે. ગુજરાતમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મોં ના કેન્સરની તપાસ કરાવે છે, જેમાંથી ૩૩ હજારને મોં નું કેન્સર ડિટેક્ટ થાય છે. સુરતમાં દર વર્ષે કરોડો રૂપિયાના માવા, પાન-મસાલા ગુટખા ખવાય છે.
વેડ ગુરુકુલના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીની પ્રેરણાથી ગુરૂકુલના સંતો, યુવાનો, બાળકો, મહિલાઓ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાન દરમ્યાન છેલ્લા વર્ષમાં ૮,૦૦૦ હજાર ઉપરાંત લોકોએ તમાકુ, ગુટકા, સિગારેટ, માવા, દારૂ અને ડ્રગ્સના વ્યસનો છોડયા છે.