પ્રાદેશિક સમાચાર

ઓલપાડ તાલુકાના કરંજ ગામે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” અંતર્ગત ‘ફળ પાક વાવેતર- એક ઝુંબેશ’ વિષય પર સેમિનાર યોજાયો

Surat Olapar News: ઓલપાડ તાલુકાના કરંજ ગામે “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” અંતર્ગત ‘ફળ પાક વાવેતર- એક ઝુંબેશ’ વિષય પર એકદિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં સુરતના નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયાએ ઓન ફિલ્ડ પ્રેક્ટિકલના માધ્યમથી આંબા પાકની ઘનિષ્ઠ ખેતીમાં ટ્રેનિંગ અને પ્રુનિંગ અને તેના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. નાયબ ખેતી નિયામક (તાલીમ) એન.જી.ગામીતે પ્રાકૃતિક ખેતીના મોડેલ, મોડેલ ફાર્મમાં મળવાપાત્ર સરકારી સહાય વિશે જાણકારી આપી હતી. નવસારી કૃષિ યુનિ.ના બાગાયત વિષયના વૈજ્ઞાાનિક ડૉ.પુષ્પરાજ સોલંકીએ આંબા પાકમાં પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય ગૌણ ફળપાકો વિશે ચર્ચા કરી કમલમ, સીતાફળ, જામફળ, લીંબુ જેવા વિવિધ ફળપાકોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો. કે.વી.કે. ના ડૉ.ભક્તિબેન પંચાલે ખેડૂતોને આંબા પાકની ખેતી દરમ્યાન પ્રારંભિક કાળજી અને પ્રાકૃતિક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
સેમિનારમાં ઉપસ્થિત સુરતના ૯ તાલુકાના ૧૫૦ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંગે માર્ગદર્શન અપાયું હતું. આ વેળાએ કરંજ ગામના પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની ફિલ્ડ વિઝીટ કરાવાઈ હતી, જ્યાં ખેડૂતોને મનહરભાઈએ પોતાની પંચસ્તરીય બાગાયતી ખેતીથી અવગત કરાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button