નિલેશભાઈએ 5 કરોડમાં 100 ટકા સોદો કર્યો છે’: AAP નેતા કાછડિયાએ કહ્યું- પહેલેથી જ લાગતું હતું કે લડવાના મૂડમાં નથી,

સુરત લોકસભા સીટના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ ટેકેદારોની સહી ખોટી હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ 20 એપ્રિલના સવારના 10 વાગ્યાથી રાજકીય ડ્રામા શરૂ થયો હતો. 21મીએ સવારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થઈ હતી અને અંતે ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું હતું. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આપના નેતા દિનેશ કાછડિયાએ કુંભાણી પર આક્ષેપ કર્યો છે કે, નિલેશભાઈએ 5 કરોડ રૂપિયામાં 100 ટકા સોદો કર્યો છે. આ આક્ષેપથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને નિલેશ કુંભાણીની સામે સૌ કોઈ શંકાની નજરે જોઇ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું કે, સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તે અંગે પહેલેથી જ લાગતું હતું કે, નિલેશભાઈ લડવાના મૂડમાં નથી. એકપણ કાર્યાલય શરૂ નથી કર્યું અને કોઈને પણ જવાબદારી આપી નહોતી ત્યાંથી જ ખબર પડી જતી હતી. બીજું ભારતીય જનતા પાર્ટી દ્વારા નિલેશભાઈ સાથે 5 કરોડમાં સોદો કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે બે સીટ અને પાંચ કરોડ નિલેશભાઈએ 100 ટકા સોદો કર્યો છે. આના કારણે તેના ટેકેદારો તેના બનેવી, તેનો ભાણિયો અને તેના ભાગીદાર કેવી રીતે જાય અને એફિડેવિટ કેવી રીતે કરી આપે? કે, આ મારી સહી નથી. ક્યાંકને ક્યાંક નિલેશભાઈનો પ્રિ-પ્લાન હતો એ દેખાઈ રહ્યું છે.