પાલ મણિભદ્ર સોસાયટી બહાર પશુનુ કપાયેલુ માથુ ફેંકાયુ

- પાલ મણિભદ્ર સોસાયટી બહાર પશુનુ કપાયેલુ માથુ ફેંકાયુ
સુરત, તા.૧૯
પાવાગઢ ડુંગરના શિખર પર જૈન તીર્થકરોની મૂર્તિઓ ખસેડી લેવાના વિવાદ માંડ શાંત પડયો છે ત્યારે સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી મણિભદ્ર રેસીડેન્સી સોસાયટીનાં ગેટ બહાર જાહેર રસ્તા પર કોઈ કે જાનવરનું કપાયેલુ માથુ નાંખી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અહિંયા ધર્મને અનુસરતા જૈન લોકોની સોસાયટી પાસે ગાય અથવા ભેંસ જેવા દેખાતા જાનવરનું કપાયેલું માથુ મળી આવતા સવારે નીકળેલા લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરતાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સોશિયલ મીડીયામાં આ અંગેની માહિતી ફરતી થતાં મોટી સંખ્યામાં જૈન લોકો અને જૈન મુનિઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, મણિભદ્ર રેસીડેન્સી સંકુલમાં જૈન દેરાસર પણ આવેલું છે. પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસીડેન્સીનાં ગેટ પાસેથી ગાય અથવા ભેંસ જેવું જાનવરનું માથું મળી આવતા મણિભદ્ર રેસીડેન્સી તથા આસપાસનાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આ ઘટનાની વાત વાયુવેગે ફેલાતા સ્થળ પર લોકોનાં ટોળા ઉમટી પડયાં હતા અને જૈન મુનિઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી એફએસએલની ટીમની
મદદથી કપાયેલુ માથુ ક્યાં જાનવરનું છે તેની તપાસ હાથ ધરી છે તથા સમગ્ર વિસ્તારની આસપાસ લાગેલા સીસી કેમેરાનાં ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાથમિક દૃષ્ટીએ આ હિચકારું કૃત્ય કરવા પાછળ અહિંસક જૈન સમાજનાં લોકોને ઉશ્કેરવા માટેનાં પ્રયાસ હોવાનું પણ જણાય રહ્યું છે.
પાલ મણિભદ્ર રેસીડેન્સી પાસે વહેલી સવારે પશુનું માથુ ફેંકી જવાના હિચકારા કૃત્ય અંગે અડાજણ પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.