માંડવી તાલુકાના પીપરીયા, ખંજરોલી અને ગોદાવાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

સુરત:શુક્રવાર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી માંડવી તાલુકાના પીપરીયા,ખંજરોલી અને ગોદાવાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, સરકાર દ્વારા આદિવાસી દીકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખની લોન સહાય, ડોકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બનવા માટે ૨૫ લાખની લોન સહાય ૪ ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા સરકાર કટિબધ્ધ છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બની છે. આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે.સુરત જિલ્લામાં સિકલસેલ એનીમિયાના દર્દીઓને સારવાર માટે રૂ.૪૦ હજારની સહાય આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ, મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.