ગુરુ વંદનાનો અનેરો ઉત્સવ: સુરતમાં ‘ગુરુ શ્રી ધરમશીભાઈ શાહ શિષ્યમાલા’ અંતર્ગત નૃત્યાંજલિ યોજાઈ

ગુરુ વંદનાનો અનેરો ઉત્સવ: સુરતમાં ‘ગુરુ શ્રી ધરમશીભાઈ શાહ શિષ્યમાલા’ અંતર્ગત નૃત્યાંજલિ યોજાઈ

સુરતના જાણીતા કથક કલાગુરુ શ્રીમતી પ્રતિભા લશ્કરી આચાર્ય દ્વારા પોતાના ગુરુજી શ્રી ધરમશીભાઈ શાહને જન્મ જયંતી નિમિત્તે અનોખી નૃત્યાંંજલી સ્વરૂપે “ગુરુ શ્રી ધરમશીભાઈ શાહ શિષ્યમાલા”નું આયોજન ગત વર્ષ થી આરંભ કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે તેમણે પોતાના ગુરુભાઈ શ્રી જીગર ભટ્ટ, કલાક્ષેત્ર, ભાવનગર અને શ્રીમતી મનીષાબેન પડીયા, મુંબઈ અને અને શ્રીમતી બીજુરબેન ભટ્ટને નૃત્ય પ્રસ્તુતિ માટે આમંત્રિત કર્યા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને શ્રી ચંદ્રકાંતભાઈ ઘરોટે, સંસ્કાર ભારતી, પશ્ચિમ ક્ષેત્ર પ્રમુખ, મુખ્ય અતિથિ સ્થાને શ્રીમતી સંધ્યા અનુપમસિંગ ગેહલોત, સુરત પોલીસ કમિશનર શ્રીના ધર્મપત્ની તથા વિશેષ અતિથિ સ્થાને શ્રી જગદીશભાઈ ઇટાલીયા અને શ્રીમતી અજીતાબેન ઇટાલીયા, સંસ્કાર ભારતી વિદ્યાલય ના ટ્રસ્ટીની ઉપસ્થિતિથી સર્વે કલાકારો પ્રોત્સાહિત થયા.
કાર્યક્રમની શરૂઆત શ્રીમતી પ્રતિભા બેન લશ્કરી આચાર્ય અને તેમની શિષ્યઓએ ગણેશ સ્તુતિ ની નૃત્ય પ્રસ્તુતિ દ્વારા કરી. જેમાં ભગવાન ગણેશની અલગ અલગ નામ પ્રમાણે મુદ્રાઓનો ઉપયોગ અને સુંદર બંદીશો તથા પદ સંચાલન દ્વારા કથક નૃત્યની અદભુત પ્રસ્તુતિ થઈ. ત્યારબાદ જીગરભાઈ અને પ્રતિભા બહેન બંને મળીને ગુરુ વંદનાની કથક નૃત્ય દ્વારા પ્રસ્તુતિ કરી પોતાના ગુરુ પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ વ્યક્ત કર્યો. અધ્યક્ષ શ્રી ચંદ્રકાંતભાઈ દ્વારા આશિર્વચન અને કલાકારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શ્રીમતી સંધ્યા ગહેલોત દ્વારા કથક નૃત્યની મંદિર પરંપરા અને આપણી ભારતીય સંસ્કૃતિના મહત્વ વિશે ખૂબ સુંદર રીતે વાત રજૂ કરવામાં આવી. શ્રી જગદીશભાઈ ઇટાલીયા અને અજીતાબેન ઇટાલીયા દ્વારા કાર્યક્રમની સુંદર પ્રસ્તુઓ માણી પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી અને મંચસ્થ મહાનુભવોએ પ્રતિભાબેનને સુંદર કાર્યક્રમના આયોજન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. મુંબઈ થી પધારેલ શ્રીમતી મનિષાબેન પડિયા દ્વારા ખૂબ સુંદર નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ થઈ જેમાં કૃષ્ણ વંદના તિનતાલ અને નાયિકા ભાવ પ્રસ્તુત થયા. ત્યારબાદ શ્રીમતી બીજુરબેન ભટ્ટ દ્વારા તરાના અને ભાવ સભર અભિનયની ભાવ અભિવ્યક્તિ થઈ. અને અંતે શ્રી જીગર ભટ્ટ દ્વારા સ્તુતિ શુદ્ધ રાસતાલ અને રામ ભજન ની અદભુત પ્રસ્તુતિ થઈ.



