દિવ્ય,ભવ્ય,નવ્ય નૂતન રામજન્મભૂમિ રામમંદિરમાં બિરાજમાન રામલલ્લાનાં અલૌકિક સાંનિધ્યમાં શ્રીધામ અયોધ્યાથી ૯૩૨મી રામકથાનો મંગલ આરંભ

માનસ રામમંદિર મહેશ એન.શાહ દિ-૧.તા-૨૪ ફેબ્રુઆરી.ક્રમ-૯૩૨
દિવ્ય,ભવ્ય,નવ્ય નૂતન રામજન્મભૂમિ રામમંદિરમાં બિરાજમાન રામલલ્લાનાં અલૌકિક સાંનિધ્યમાં શ્રીધામ અયોધ્યાથી ૯૩૨મી રામકથાનો મંગલ આરંભ થયો.
બાપુએ કહ્યું કે મારો મનોરથ અનુષ્ઠાનનાં રૂપમાં અહીં રામકથા કરવાનો હતો અને એને સ્વભાવિક સહયોગ આપનાર ન્યાસના મુખ્ય ચંપતરાયજી તેમજ ટ્રસ્ટી મંડળ અને જેણે-જેણે પણ એમાં સહકાર આપ્યો.એમનો વિવેક,ઉદારતા અને શાલીનતા કે એમણે લેખિત આમંત્રણ આપ્યું. આપ બધાની તપસ્યા,આખા આંદોલનની પાછળ તપ સમર્પિત કર્યું એ બધા પ્રતિ સાધુવાદ આપીને બાપુએ કહ્યું કે રામ ભારતનો પ્રાણ છે,પ્રાણ નહીં પ્રાણનો પણ પ્રાણ છે,અને વિશ્વની આત્મા છે. બહારથી આ મંદિર ભવ્ય છે,અંદર જોઈએ તો દિવ્ય છે પણ વધારે નજીક જઈએ તો સેવ્ય પણ છે.આવા ત્રણેય ભાવ એકમાત્ર અયોધ્યામાં જ સંભવ થઈ શકે ત્રિભુવનથી પણ વધારે આનંદ અને પ્રસન્નતા મને થઈ છે.
અહીં પાંચ વખત કથા થઈ અને એક પરિક્રમા કથા થઈ.આ સાતમી કથા છે.રામનો સાતમો અવતાર માનસના સાત સોપાન,સાત સમુદ્ર,રામને જ રામની કથા સંભળાવવા આવ્યો છું.માનસમાં અનેક પ્રકારના મંદિરના વર્ણન છે અહીં બે પંક્તિઓ એક બાલકાંડ એક ઉત્તર કાંડમાંથી લીધેલી છે.
બાપુએ કહ્યું કે વિનય કરું છું કે આપે આટલી વસ્તુઓ પધરાવી કોઈ એક ખૂણામાં અમારા તુલસીદાસજીને પણ પધરાવજો! જેને ઘર ઘર અને ઘટ-ઘટ સુધી રામને પહોંચાડ્યા છે અને બાપુની આ વાત તરત જ આદર સાથે સ્વીકારાઇ.એ પછી ત્રણ ગ્રંથો એમાં ચાર વેદ,રામચરિત માનસ અને વાલ્મિકી રામાયણ-બાપુએ ભેટ આપેલા એ પણ અર્પણ કરવામાં આવ્યા જેને ગર્ભગૃહમાં પધરાવવામાં આવશે.બાપુએ કહ્યું કે મારા નાનકડા ગામડામાં હનુમાનજીની મૂર્તિ ત્યાં બધા જ લોકોએ મળી અને દેશ અને વિદેશથી ભેગા થઈ અને ૨૦ કરોડ રૂપિયાની રાશિ આપી એ પણ સમર્પિત કરી.
રામ ત્રણ વસ્તુમાં કૃપણ છે એ પોતાની આંખ કોઈ પર સ્ત્રીને નથી આપતા,પોતાની પીઠ કોઈને નથી આપતા અને કોઈને ‘ના’ નથી આપતા.પાર્વતીએ કથા પૂછી ત્યારે બાળ રૂપની વંદના શિવજી કરે છે એવું નામ તેનો જપ કરવાથી બધી જ સિદ્ધિઓ સુલભ થાય છે અને અહીં આઠ સિદ્ધિઓમાં:વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ,આસનસિદ્ધિ,ક્રિયાસિદ્ધિ,સાધનસિદ્ધિ, ફળસિદ્ધિ,ભાવસિદ્ધિ અને રસસિદ્ધિની વાત કરતા બાપુએ કહ્યું કે મારી રુચિ શુદ્ધિઓમાં છે અને આ બધી જ શુદ્ધિઓ પણ બાલરામનું સ્મરણ કરવાથી સુલભ થાય છે.
કથાવિશેષ
આપણી સંસ્કૃતિ મૃત્યુંજય છે કારણ કે મૂળમાં રામ છે:ગોવિંદદેવ ગિરિજી
કથાના આરંભે આ આ રામમંદિરના બે મહત્વના સ્તંભ ગોવિંદગિરિજી કે જેઓ રામજન્મભૂમિ ન્યાસ સમિતિના કોષાધ્યક્ષ છે અને ન્યાસસમિતિના ચંપતરાયજીની વિશેષ ઉપસ્થિતિ હતી.સાથે-સાથે અન્ય ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા અને અયોધ્યાના રાજા બિમલેન્દ્ર મોહન મિશ્રા તેમજ અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરંભે ગોવિંદગિરિજી મહારાજે આશીર્વાદનો ભાવ રાખતા કહ્યું કે આઝાદીનાં અમૃતકાળનો સાચા અર્થમાં હવે આરંભ થઈ રહ્યો છે.બધી જ સંસ્કૃતિઓનો ધ્વંશ થયો એકમાત્ર ભારતીય સંસ્કૃતિ બચી છે.વસુધૈવ કુટુંબકમ્ અયોધ્યાની ધરતી ઉપર દેખાય છે.આપણી સંસ્કૃતિ મૃત્યુંજય છે કારણ કે મૂળમાં રામ છે.જ્યાં સુધી હિમાલય છે,ગંગા વહે છે,સૂર્ય-ચંદ્ર ઊગી રહ્યા છે-રામકથા ભૂમંડળ ઉપર ચાલતી જ રહેશે અને આપણને અહીં આખું વિશ્વ આવેલુ દેખાય છે એની પાછળ સમગ્ર વિશ્વમાં અલખ જગાવનાર મોરારિબાપુ પણ છે.તેઓ એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી કદાચ અયોધ્યાને ઉત્તર પ્રદેશની રાજધાની પણ બનાવી દે! કંઈ જ અસંભવ નથી.પરંતુ સમગ્ર વિશ્વની સાંસ્કૃતિક રાજધાની અયોધ્યા બનવાની છે એ દેખાય છે.ભારતની સાચી શક્તિ રામમાં છે અને બાપુ જેવા એના સંવાહક છે. અહીં રેલાઓના રેલાઓનો ઉત્સાહ આવનારા ૨૫ વર્ષના અમૃતકાળમાં ભારતને સર્વોચ્ચ સ્થાને લઈ જશે એવું લાગે છે.
કેમ છે અદ્ભૂત આ મંદિર?
આ મંદિર નિશ્ચિત તારીખ સુધી પહોંચાડવા માટે તનતોડ મહેનત કરનાર ભુવન મોહક રામલલાના દર્શન કરાવનાર,ભગીરથ કાર્યની પાછળ જેનો ખૂબ મોટો હાથ છે એવા ચંપતરાયજીએ આ મંદિર વિશે અદભુત વાતો કરી.જ્યારથી મંદિર નિર્માણ ચાલુ છે અહીં અડીંગો જમાવીને બેસેલા છે.૧૦૦૦વર્ષ સુધી કાંકરી પણ ન ખરે એવું મંદિર કઈ રીતે બને એ માટેની વાત કરી તેઓએ કહ્યું કે શબ્દ આવી રહ્યો છે રામલલ્લા.બાલ રામને સાથે રાખીને કાનુની લડાઈ લડાવવામાં આવી છે.નાબાલિક રામના નામ ઉપર કારણ કે નાબાલિકના અધિકારો કાનૂનથી રક્ષિત હોય છે,ઇન્ફ્રેન્ટ રામના કારણે બધો જ રસ્તો નીકળ્યો જ્યારે ભગવાનના વિગ્રહની ચર્ચાઓ થઈ તો બાળક રામ,ઉપનયન સંસ્કાર પૂર્વનાં રામ,પાંચ વર્ષના આયુષ્ય વાળા રામ,રાજાના પુત્ર,વિષ્ણુના અવતાર. એની આંખો એના ગાલ,એનું શરીર કેવું હોવું જોઈએ?એની આંગળીઓ કેવી હોવી જોઈએ આ બધું જ ખૂબ કઠિન કાર્ય હતું.ચિત્ર બનાવ્યું પણ ચિત્ર તો સહાયક છે મૂર્તિકારો એ કહ્યું કે પથ્થર ખુદ બોલવો જોઈએ.અને મૂર્તિ બનાવનારાઓ અનેક જગ્યાએ પાર્કમાં નાનકડા બાળકો રમતા હતા એ હસતા બાળકોના અનેક ફોટાઓ લઈ પ્રતિમાઓ બનાવી અને ત્રણ મૂર્તિનું નિર્માણ થયું.ભગવાન કોનો હાથ પકડે.અને ૪૧ વર્ષની આયુષ્ય ધરાવનાર મૈસુરમાં રહેનાર કેદારનાથના આદ્યશંકરાચાર્યની જેણે મૂર્તિ નિર્માણ કરી છે,દિલ્હીના ઇન્ડિયા ગેટના સુભાષચંદ્ર બોઝની મૂર્તિ જેણે બનાવી છે એના જીવનમાં આ મહત્વપૂર્ણ કાર્ય કરવાનું સદભાગ્ય સાંપડ્યું.
મંદિર તો સમગ્ર દેશનું છે.પ્રત્યેક રાજ્યનું અને દરેક વર્ગની આ ભૂમિ છે.ચારે તરફ આદ્યશંકરાચાર્યજીએ પંચાયતની જે કલ્પના કરી:વચ્ચે રામ વિષ્ણુના અવતાર અને એક બાજુ ભુવનભાસ્કર સૂર્ય, ગણપતિ,શંકર.દક્ષિણની ભુજા જ્યાં હનુમાનજીની મૂર્તિ.ઉત્તરનો હાથ ત્યાં માતા અન્નપૂર્ણાની મૂર્તિ આ રીતે આ છ મંદિર તો છે જ.વાલ્મિકીનું પણ મંદિર બનશે.એના ગુરુ વશિષ્ઠનું મંદિર બનશે.વિશ્વામિત્રનું મંદિર પણ બનશે અને આદિત્યહૃદય સ્ત્રોત લખનાર અગત્યનું મંદિર પણ બનશે.વનવાસમાં પ્રયાગરાજ પછી શૃંગબેરપુર નિષાદરાજ આવે છે એનું પણ મંદિર બનશે અને વનમાં માતા શબરી તેમજ શીલા માંથી અહલ્યા બનેલી અહલ્યા-એના પણ મંદિરો બનશે.આ રીતે અન્ય સાત મંદિરોનું નિર્માણ પણ થશે અને રામના અંતે જટાયુનો મેળાપ થાય છે એની સ્થાપના થઈ ચૂકી છે,કુબેર ટીલા ઉપર એને બનાવાયા છે.
મંદિર વિશેની અદ્ભૂત એવી વાત કરતા જણાવ્યું કે ૧૦૦૦ વર્ષ સુધી સિમેન્ટ કોંક્રેટ ન ચાલે,એનું આયુષ્ય ૧૦૦-૧૫૦ વર્ષ હોય છે.કદાચ લોખંડ લગાવીએ તો ૧૫૦ વર્ષ ચાલે એટલે એક ઇંચ પણ કોંક્રેટ નથી માત્ર પથ્થર ૨૧ ફૂટ ઊંચાઈ સુધી ગ્રેનાઇટ જ ગ્રેનાઇટ છે. ગ્રેનાઇટ પાણી પીતો નથી.એ પોરસ-છિદ્રાળુ નથી હોતો.એની નીચે છ એકર મેદાનમાં માટી હટાવી હટાવી અને ૧૪ મીટર એટલે કે ૫૬ ફૂટ જેટલું ખોદકામ કરવામાં આવ્યું.આઇઆઇટી મદ્રાસના વૈજ્ઞાનિક ખાસ પ્રકારનો કોંક્રેટ-સિમેન્ટ વગરનો બનાવી,નામમાત્રનું પાણી,૧ ફૂટ લગાવી અને ૧૨ ઇંચમાંથી ૧૦ ઇંચ સુધી દબાવી અને આવા ૫૬ સ્તર બનાવવામાં આવ્યા અને જેમ-જેમ એની ઉપર વજન વધશે એમ એનું આયુષ્ય વધતું જશે. પથ્થરનું આયુષ્ય ૧૦૦૦ વર્ષ હોય છે.ભૂકંપની સામે શું કરવું તો મહત્તમ ભૂકંપ કરતાં ડબલ સ્કેલના ભૂકંપ સહન કરી શકે એવા સ્તંભની પહોળાઈ બનાવી.પાછળ સરયુ નદી વહે છે ત્યાં ૯૧ મીટરના લેવલ સુધી દિવાલ બનાવવામાં આવી અને જેની જાડાઈ ૪૦ ફૂટ રાખવામાં આવી.દૈવી આપદાથી બચવાનું આ માનવીય અદભુત-અજીબ પ્રયાસ છે અને એના માટે આઇઆઇટી દિલ્હી,ગોહાટી,વડોદરા,ચેન્નઈ,મુંબઈ રૂરકી,જીઓરિસર્ચ સેન્ટર હૈદરાબાદના અનેક ડાયરેક્ટરનો સામૂહિક ચિંતનનો આ પ્રયાસ છે. તેઓએ જણાવ્યું કે બધા જ માટે આ મંદિર ખુલ્લું છે કોઈ વીઆઈપી નથી.સવારના ૬:૩૦થી રાતના ૯:૩૦વસુધી ૧૪ કલાક સુધી બાળક જાગતા રહે છે રોજ અઢી લાખ માણસો અયોધ્યામાં આવે છે દોઢ લાખ દર્શન કરે છે.એકાદ કલાકમાં જ આરામથી દર્શન કરી શકાય એટલી સરળતાથી દર્શન થાય છે.