ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ

ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
બે દાયકાથી વધુની સફર બાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણનો યજ્ઞ બની ચૂક્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી
સમાજોત્સવ સમાન “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૫”ના અંતિમ દિવસે ઉધનાગામની મીરાનગર ખાતે આવેલી મહાદેવ દેસાઈ પ્રાથમિક શાળા નં. ૨૦૬ અને રતિલાલ કેશવભાઈ ચૌહાણ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૦૭માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના હસ્તે બાળવાટિકા અને ધો.૧ના બાળકોને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ, યુનિફોર્મ, સ્કુલ બેગ, આપી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કરાવ્યો હતો. દરેક બાળક ભણીગણીને આગળ વધે તેવા ધ્યેય સાથે સરકાર કાર્ય કરી રહી છે. બે દાયકાથી વધુની સફર બાદ આ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણનો યજ્ઞ બની ચૂક્યો છે, જેમાં સરકારની સાથે શિક્ષકો અને શાળા સમિતિ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. સમાજને શિક્ષણના યજ્ઞ માટે સૌની આહૂતિ જોઈને શાળા પ્રવેશોત્સવ સાચે જ સમાજોત્સવ બન્યો હોવાનું તેમણે કહ્યું હતું.
શાળાની વિવિધ સ્પર્ધાકીય પરીક્ષામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, નગર સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા, છોટુભાઈ પાટીલ, સૌ કોર્પોરેટરો, નગર પ્રા. શિક્ષણ સમિતિના સૌ સભ્યો, સામાજિક આગેવાનો, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશ પામનાર નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.