પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ સપરિવાર ગુજરાતના સુપ્રસિધ્ધ મહુડી જૈન મંદિરના દર્શન કર્યા

પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ સપરિવાર ગુજરાતના સુપ્રસિધ્ધ મહુડી જૈન મંદિરના દર્શન કર્યા
અમદાવાદ : ૮ સપ્ટેમ્બરથી આરંભ થતા જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ શ્રીમતી પરિધિ સાથે આજે સવારે ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા જૈન અને જૈનેત્તર શ્રધ્ધાળુઓના સુપ્રસિધ્ધ પવિત્ર તીર્થસ્થાન મહુડીના જૈન મંદિરની મુલાકાત લઇ પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ તીર્થ સ્થળની આ મુલાકાત શ્રી અદાણી માટે નિસ્વાર્થ સેવાના માધ્યમ સ્વરુપે વ્યક્તિગત જોડાણ ધરાવે છે. અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ, અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, ગ્રામીણ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામુદાયિક માળખાગત સુવિધાઓમાં એક મૂલ્યવાન ઉમેરો કરવા શરુ કરેલી પહેલ આજે ભારતભરમાં લાખો લાભાર્થીઓ સુધી પહોંચી છે., “સેવા હી સાધના હૈ”ની તેની ફિલસૂફીમાં સમુદાયોની સેવા અને જીવન સુધારણાની તકોનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે.
ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે ઓળખાતું મહુડી એક સુવિખ્યાત શ્વેતાંબર જૈન તીર્થસ્થાન છે. આ તીર્થમાં તમામ ૨૪ જૈન તીર્થંકરોના મંદિરો ઉપરાંત જૈન ધર્મના રક્ષકો અને તેમાંના એક પૂજનીય શ્રી ઘંટાકર્ણ મહાવીરના અલગ મંદિર પણ છે. તીર્થંકરોથી વિપરીત ઘંટાકર્ણ મહાવીરને રક્ષણાત્મક દેવતા તરીકે આસ્થાળુઓ પૂજે છે અને મુશ્કેલ સમયમાં શક્તિ અને અવરોધોને દૂર કરવા તેમના દર્શનાર્થે જાય છે. મહૂડીમાં માત્ર જૈનો જ નહી પણ ઇત્તર કોમના હજારો શ્રધ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી માટે દર્શનાર્થે જાય છે અને ત્યાંનો મશહૂર પ્રસાદ સુખડી ધરાવે છે.
૮ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી શ્વેતાંબર જૈન પરંપરાના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક આ મહા પર્વ પર્યુષણની પૂરા શ્રધ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પર્વ દરમિયાન પ્રાર્થના, ઉપવાસ, આત્મ-સંયમ અને આત્મનિરીક્ષણનો સમયગાળો સંવત્સરીમાં ૧૫ સપ્ટેમ્બરના રોજ સંપ્પ્ન થાય છે, મિચ્છામી દૂકડમથી જાણીતા ક્ષમા યાચનાના આ દિવસે જૈનો બધા જીવોની ક્ષમા માંગે છે અને અન્યોને ક્ષમા આપે છે, તેમના કાર્યો પર ચિંતન કરે છે અને ભૂતકાળની દાદ ફરિયાદોને ત્યજી દે છે.
અગાઉ આ વર્ષની શરૂઆતમાં અખાત્રિજના દિવસે અદાણી પરિવારે ઉત્તર ગુજરાતના તારંગા હિલ્સ ખાતે શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરની મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી હતી.
મહુડી ખાતે તીર્થકર પ્રત્યેની અતૂટ શ્રધ્ધાની અભિવ્યક્તિ માટે આવેલા અદાણી પરિવારે શ્રદ્ધા, નમ્રતા, કરુણા, સેવા અને ક્ષમાના હેતુ સાથે આકાર પામેલા સેવા યજ્ઞ “સેવા હી સાધના હૈ” ની સંગીન સફળતા માટે આશીર્વાદ માંગ્યા હતા.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા પોતાના તથા ભત્રીજા અને અદાણી ગ્રીન એનર્જી લિ.ના, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને અન્ય લોકો પર ૧૦ ઓગસ્ટના રોજ પૂર્વગ્રહ પ્રેરીત આરોપનામું ફગાવી દેવાના ફેંસલાના થોડા દિવસો પછી ગૌતમ અદાણી દ્વારા મહુડીની મુલાકાત લેવામાં આવી છે.



