સુરત જિલ્લા પંચાયત દ્વારા અનધિકૃત કબજેદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી

સુરત જિલ્લા પંચાયત દ્વારા અનધિકૃત કબજેદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી
નોટિસ પછી પણ જગ્યા ખાલી ન કરતા ડિમોલીશન
જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.૧૦૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા
૬ દાયકા જૂના અનધિકૃત કબજાને ડિમોલીશન કરીને ખાલી કરાવ્યો
સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂ.૧૦૦ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનધિકૃત દબાણો દૂર કરાયા છે. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ, રિંગરોડના વોર્ડ નં.૭, સિટી સર્વે નં. ૬ની અંદાજે ૮૦૩૭ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઇલ્સ તથા રાણા ટ્રાવેલર્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલીશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ-સુરતની હતી, ત્યારબાદ વર્ષ ૧૯૬૧થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે
વર્ષ ૧૯૬૦ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર ૭ વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદ્દત પુરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ-અલગ નોટીસ આપાઈ હતી. પરંતુ હાલના કબજાદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી-મંજૂરી વગર છેલ્લા ૫૦ વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતુ. આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણકર્તા કોર્ટમાં ગયા હતા, જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટએ જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો. તેમ છતા દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ (અનધિકૃત કબજેદારોને ખાલી કરાવવા) અધિનિયમ- ૧૯૭૨ હેઠળ તા.૧૨-૦૫-૨૫ થી એક માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો.
તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ઇલેક્ટ્રીસિટી વિભાગ, અન્ય સબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રીએ સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલીશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઇલ્સ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલર્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે એમ જિ.પંચાયતની યાદીમાં જણાવાયું છે. નોંધનીય છે કે, આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂ. ૧૦૦ કરોડથી વધુ છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જણાવ્યુ હતું કે, જાહેર મિલકતો પર કરાયેલા બિનઅધિકૃત દબાણો દુર કરવા માટે કડક કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આગામી સમયમાં આવા પ્રકારની અન્ય અનધિકૃત દબાણો સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, જ્યુડીશીયલ બાબતના કારણે ઘણા દાયકાથી આ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં સફળતા મળી ન હતી, પરંતુ આજે લાંબા સમય બાદ દબાણ દૂર કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતની કરોડોની જમીન પરત મેળવવાની મોટી સિદ્ધિ મળી છે.