સેવા પરમો ધર્મ: અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનો માટે ‘અન્નપૂર્ણા રથ’નું લોકાર્પણ

સેવા પરમો ધર્મ: અમદાવાદની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનો માટે ‘અન્નપૂર્ણા રથ’નું લોકાર્પણ
અમદાવાદ: ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની વિવિધ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે ચાલતી સેવાકીય પ્રવૃત્તિમાં આજે એક નવું સંસાધન ઉમેરાયું છે. તા. ૨૬-૦૪-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે “અન્નપૂર્ણા રથ” ટિફિન સેવાની રિક્ષાનું લોકાર્પણ ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટને કરવામાં આવ્યું હતું. ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ઉમદા સહયોગથી ભેટ મળેલી આ રિક્ષાના લોકાર્પણ પ્રસંગે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન, આરતી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંત્રો અને મહામૃત્યુંજય મંત્રોના ગુંજારવ સાથે ભક્તિમય વાતાવરણમાં બેંકના પ્રતિનિધિઓ, સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અન્નપૂર્ણા રથ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અંદાજે ૭૦૦ જેટલા ઘરોમાંથી દરરોજ ભોજન-ટિફિન એકઠા કરવામાં આવશે. આ એકત્રિત થયેલું શુદ્ધ ભોજન અસારવા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી કેન્સર, હાર્ટ, કિડની અને જનરલ હોસ્પિટલ ઉપરાંત મણીબેન આયુર્વેદિક સરકારી હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સેવાર્થે રોકાયેલા તેમના સગાઓને બપોરના ભોજન તરીકે પહોંચાડવામાં આવશે. આ સેવા રથ આગામી સમયમાં અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.



