મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. – 272, નાના વરાછામાં રક્તદાન કૅમ્પ અને માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. – 272, નાના વરાછામાં રક્તદાન કૅમ્પ અને માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
સાંપ્રત સમયમાં ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનના શુભ ભાવ સાથે ખાસ આ દિવસે માતૃપિતૃ પૂજન કરવામાં આવ્યું
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રક્તદાન કૅમ્પ અને માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન સુરતના શ્રી ઘનશ્યામભાઈ વસાણીએ આજે 105મી વખત રક્તદાન કર્યું હતું. આ ઉપલક્ષ્યમાં કાર્યક્રમનું સૌજન્ય એમના તરફથી મળ્યું હતું. આ રક્તદાન કૅમ્પમાં શિક્ષકો અને વાલીઓ ખૂબ ઉત્સાહથી જોડાયા હતા. આજે ૪૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યને બિરદાવવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી શ્રી સવજીભાઈ વેકરિયા પન ઉપસ્થિત રહ્યા હતા.
માતૃપિતૃ પૂજન કાર્યક્રમના શુભારંભે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન સુરત દ્વારા મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિનું સ્મૃતિ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા પણ સ્વર્ણિમ ગુજરાત યૂથ ફાઉન્ડેશન સુરતના શ્રી ઘનશ્યામભાઈ વસાણી અને એમની પૂરી ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટમાં કર્મયોગી તરીકે સેવા આપનાર વડીલ શ્રી પરશોત્તમભાઈ બોરડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને શ્રી કિશોરભાઈ સાવલિયાએ મંત્રોચ્ચાર સાથે માતાપિતાનું પૂજન કરાવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભાવમય નિર્માણ પામતા માતાપિતા અને બાળકોની આંખોમાંથી પ્રેમાશ્રુ સરી પડ્યા હતા. આ પ્રસંગે શ્રી ઘનશ્યાભાઈ વસાણી અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પણ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન કરનાર શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી.
રક્તદાન કૅમ્પમાં સ્મીમેરના કર્મચારીઓ ડૉ. નિધિ બારોડ, શ્રી ધીરેન્દ્ર શર્મા, શ્રી ધર્મેંદ્ર ઠાકર, અંકિતા પ્રજાપતિ, શ્રી રતન સિંહ, ધવલ પાઠક વગેરેએ રકતદાનની કામગીરી સુપેરે કરી કરી અને શાળાના શિક્ષક શ્રી ચમનભાઈ ચોપડાએ સહયોગ આપ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ રક્તદાન કૅમ્પની પ્રત્યક્ષ કામગીરી નિહાળીને જાણકારી મેળવી હતી તેમજ આ કાર્યમાં સહયોગી પણ બન્યા હતા.