ટૂંકા આયુષ્યમાં લાંબા અને આદર્શ જીવનકાર્યથી વિશ્વ સ્તરે છવાઈ જનાર સ્વામી વિવેકાનંદ
તા.૧૨ જાન્યુઆરી- રાષ્ટ્રીય યુવા દિવસ

સુરત:ગુરૂવાર: “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો..” આ શબ્દો દ્વારા યુવાધનના અંતરમનને ઢંઢોળનાર અને તેમનામાં નવજાગૃતિનો પ્રાણ ફૂંકનાર દેશભકત સંન્યાસી સ્વામી વિવેકાનંદનો જન્મ સંવત ૧૯૧૯ના પોષવદ સાતમ, સોમવાર સને ૧૮૬૩ની ૧૨મી જાન્યુઆરીએ પાવન પર્વ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે થયો હતો. બાળપણમાં તેમનુ નામ વિરેશ્વરદત્ત હતું. થોડા સમય બાદ નરેન્દ્રનાથ દત્ત થયું. સ્વભાવે તે એવા હઠીલા, જિદ્દી હતા કે તેમને કયારેક કાબૂમાં લેવા અશક્ય બની જતું. છેવટે માતા ભુવનેશ્વરી દેવી એક રામબાણ ઉપાય અજમાવતાં અને શિવનું નામ લઈ નરેન્દ્રના માથા ઉપર ઠંડુ પાણી રેડતાં ત્યાં તો નરેન્દ્ર શાંત થઈ જતો. ભણતરનો પહેલો પાઠ તેઓ માતા પાસેથી બંગાળી ભાષામાં શીખ્યા તેમજ ઔપચારિક શિક્ષણરૂપે રામાયણ, મહાભારતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમની યાદશક્તિ એવી સતેજ હતી કે એકવાર વાંચેલું તે કયારેય ભૂલતા જ નહિ ! સાત વર્ષની વયે ‘મુગ્ધબોધ’ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના કેટલાય ભાગો કંઠસ્થ કરી લીધા હતાં. ધ્યાનમાં બેસવાની રમત તેમને ખૂબ જ ગમતી. ધ્યાનમાં બેઠા પછી તે જગતનું ભાન ભૂલી જતાં.