ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સાંધિએર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી

ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સાંધિએર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી
વર્ષ-૨૦૨૫ માટે ભારતને ટીબી મુકત બનાવવા માટેની થીમ Yes! We Can End TB: Commit, Invest, Deliver: અર્થાત હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ: પ્રતિબદ્ધ થાઓ, ડરશો નહી, નિયમિત સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે
ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો
શેરી નાટક તથા આરોગ્ય વિષયક પોસ્ટરોનું પ્રદર્શન
દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપૂર્ણ કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધ્યા હતા. ડો. રોબર્ટની યાદમાં દર વર્ષે આજના દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.વિભુતી ચૌધરી તથા ડો. કેતન પટેલ તથા સાંધિએર પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડો.રાજેશ ગુજ્જરની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિશ્વક્ષય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૫ નો વર્લ્ડ ટી.બી. દિવસની થીમ – ‘:Yes! We Can End TB: Commit, Invest, Deliver: અર્થાત હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ: પ્રતિબદ્ધ થાઓ, રોકાણ કરો, પહોંચાડો’ અંતર્ગત સરકારે નિ-ક્ષય પોષણ યોજના શરૂ કરી છે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ પ્રેરક ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે, સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય (ટીબી) દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. સમાજમાં ટી.બી. રોગ અંગે જાગૃતિ જરૂરી છે. દર્દીને નિયમિત દવાઓ અને પ્રોટીન – વિટામિનયુક્ત આહાર દ્વારા ટી.બી.ને માત આપી શકાય છે. સાથોસાથ દર્દીને માનસિક રીતે મજબૂત બનાવી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવાથી ઉત્તમ દવા સમાન પરિણામ મળે છે.
શ્રી કડીવાલાએ કહ્યું કે, ટી.બી. રોગના લક્ષણો ગળફા સાથે ખાંસી હોવી, છાતીનો દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, શરીરનું તાપમાન વધવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે વિશે આશા બહેનો તથા આરોગ્યળ કર્મચારીઓ દ્વારા પુછપરછ અને તપાસ કરવામાં આવે છે. ટી.બી.નો કોર્સ અધુરો મુકવાથી ટી.બી. ફરી ઉથલો મારે છે અને પછી એની સારવાર કરવી ખૂબ મુશ્કેલ બને છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રિન્સીપાલ કિરણ દોમડીયાએ ટી.બી. દિવસની ઉજવણીથી સમાજમાં જાગૃતિ સાથે તેને નાબૂદ કરવા અંગે સમગ્ર કાર્યક્રમના અયોજન માટે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, ટી.બી.ની બિમારીમાં સૌથી મોટુ લક્ષણ ઉધરસ છે. પરંતુ મોટા ભાગે લોકો સામાન્ય ઉધરસ સમજીને અવગણના કરે છે. પરંતુ સતત બે અઠવાડિયા કે વધુ સમય સુધી ઉધરસ આવવાની સમસ્યા હોય અથવા સાંજના સમયે ઓછા તાપમાનથી તાવ આવવો, ભુખ ઓછી લાગવી, વજનમાં ઘટાડો થતો હોય, રાત્રે સુતા સમયે પરસેવો થતો હોય તો નજીકના સરકારી દવાખાને તપાસ કરાવી ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી ખુબ જરૂરી છે. દર્દીના ગળફાની તપાસમાંથી ટી.બી.નું નિદાન થાય છે. જે નજીકના ગ્રામ્ય અને અર્બન હેલ્થ સેન્ટર કે કોઇપણ સરકારી દવાખાને વિનામૂલ્યે કરવામાં આવે છે.
સમાજમાં ક્ષય રોગને અટકાવવા, સારવાર અને પોષકતત્વો સાથેનો આહાર અને ટી.બીના રસીકરણને સાંકળી લેતા શેરી નાટકનું આયોજન તથા આરોગ્ય વિષયક ટી.બી રોગને સમજવો, અટકાવવો અને પૂર્ણ સારવાર ઔષધ અને આહાર આધારીત પોસ્ટરોના પ્રદર્શનથી વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, હેલ્થ સેન્ટરના સ્ટાફ, નર્સિંગ ના કોમ્યુનીટી વિભાગના પ્રોફેસર, નર્સિંગ ફેકલ્ટીઝ સહિત ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષના જી.એન.એમ.નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-