ઓલપાડ તાલુકાના વેલુક ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
વેલુક ગામના તળાવ ફરતે રૂ.૨૪.૮૧ લાખ ખર્ચે ૧૧૧ મીટર પ્રોટેક્શન વોલનું વનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

સુરત:શનિવાર: છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસહ ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના વેલુક ગામે આવી પહોંચ્યો હતો, જ્યા ગ્રામવાસીઓ સાથે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે રથનું ઉમળકાભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
વનમંત્રીશ્રીએ વેલુક ગામના તળાવની ફરતે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ- ગાંધીનગરના વિભાગ અંતર્ગત રૂ.૨૪.૮૧ લાખ ખર્ચે ૧૧૧ મીટર પ્રોટેક્શન વોલનું વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત તથા જિલ્લા પંચાયત ૨૦૨૨-૨૩ની સ્વભંડોળ ગ્રાન્ટ રૂ. ૭.૦૦ લાખના ખર્ચે ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્ટ્રેથનીગ ઓફ વિલેજ અંતર્ગત ગામના તળાવ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો છેવાડાના દરેક નાગરિકોને મળી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોકોનું જીવનધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાને ડિજિટલાઇઝેશનને વેગ આપી લોકોના જનધન ખાતા ખોલાવ્યા જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પુરે પુરો લાભ આપી શકાય. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન કાર્ડ યોજનાને સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના જણાવી ગ્રામજનોને તેનો વિશેષ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું સરકારની આયુષ્માન કાર્ડ યોજનાએ વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવશતા અને લાચારી દૂર કરી છે. સામાન્ય લોકોના આરોગ્ય જાળવણી માટે વડાપ્રધાનશ્રીની દીર્ઘદૃષ્ટિ પ્રતિબિંબ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા ગુણવતાયુક્ત પાકનું બજાર મૂલ્ય પણ સારૂ મળે છે, ત્યારે ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
દેશની આરોગ્ય ગરિમા જાળવતી સ્વચ્છતાનું મહત્વ સમજાવી તેમણે કહ્યું કે, દરેક નાગરિકે સ્વચ્છતાને પોતાની દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક મુક્ત ગામડાઓ બનાવવા ગ્રામજનો સંકલ્પબધ્ધ થવું જોઈએ. જેથી ગામ,તાલુકા, જિલ્લા અને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવી સમગ્ર દેશનો વિકાસ સાધી શકાય.