સરકારી યોજનાઓએ આવાસ, અન્ન સહાય અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે: લાભાર્થી રમણભાઈ વસાવા

સુરતઃશનિવારઃ વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોંચાડી રહ્યો છે, ત્યારે માંડવી તાલુકાના પાતલ ગામના નિવૃત્ત ડ્રાઈવર એવા લાભાર્થીશ્રી રમણભાઈ વસાવાએ જણાવે છે કે, જીવનકાળના ૪૭ વર્ષ ટ્રક ચલાવીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી વયોવૃધ્ધ જીવન જીવવું સરળ બન્યું છે. આ સહાય આપીને અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારોની દરકાર કરવા બદલ સરકારનો આભાર માનું છું.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી પરિવારને ઘરના ઘરની પાકી છત મળી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની સુધીની કેશલેસ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરિવાર ઉપર ઓચિંતી આવી પડતી આફત સામે આર્થિક રીતે મદદરૂપ બની રહેશે. આ ઉપરાંત અંત્યોદય અન્ન યોજના હેઠળ દર મહિને સરકારશ્રી દ્વારા મફત રાશન મળી રહ્યું છે. સરકારે યોજનાઓ થકી આવાસ, અન્ન સહાય અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. એટલે જ કહી શકાય કે સરકારે સામાન્ય જનસમુદાયની દરકાર કરી છે એમ કહીને રમણભાઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભર વ્યકત કર્યો હતો.