“ગણપત યુનિવર્સિટી દ્વારા ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર વૈશ્વિક CSR અને ફીલાન્થ્રોપી સંમેલન-૨૦૨૫ યોજાયું

“ગણપત યુનિવર્સિટી દ્વારા ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર વૈશ્વિક CSR અને ફીલાન્થ્રોપી સંમેલન-૨૦૨૫ યોજાયું
દેશભરના વ્યાવસાયિકોએ ટેક્નોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન સાથે જોડાતા ભવિષ્ય માટે તૈયાર થવા આ સંમેલનમાં ભાગ લીધો.
ગણપત યુનિવર્સિટીના આંગણે ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનમાં ટેકનોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશનને સાથે છેડાતા ભવિષ્ય માટે તૈયાર વિશ્વ ૨૦૨૫ એ બાબતે હાઇબ્રીડ મોડમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. સંમેલનનું આયોજન સ્વાયત્ત રીતે ગણપત યુનિવર્સિટીએ કર્યું હતું. આ મૌલિક સંમેલનમાં વિશ્વવ્યાપી વિચારકો, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને ડિજિટલ યુગમાં દેશના અર્થતંત્રને બુદ્ધિબળે વેગવંતુ બનાવવા CSR અને ફીલાન્થ્રોપીની વિકસતી ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા.
આ પ્રસંગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશનના ડાયરેક્ટર IAS ડો. મનીષ બંસલ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર IAS શ્રી વસંત ગઢવી, RAF ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન શ્રી રીઝવાન આડતિયા, ONGC મહેસાણાના એસેટ મેનેજર શ્રી સુનિલ કુમાર, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સાહસિકતા વિભાગના એક્ઝિક્યુટિવ સદસ્યા ડો. નીના પાહુજા, NBA ના વર્તમાન ચેરમેન અને AICTE ના ભૂતપૂર્વ ચેરમેન પ્રો. અનિલ સહસ્રબુદ્ધે, ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને CEO શ્રી સૈયદ અહમદ, ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને CEO શ્રી જ્વલંત બાટવિયા જેવા ભારતભરના માતબર વિચારકો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટી તરફથી માનનીય પ્રમુખ અને દાતા-અધિષ્ઠાતા પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, બોર્ડ ઑફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ટ્રસ્ટીઓ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સત્યેન પરીખ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલરો, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન, અન્ય મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ પણ થયું હતું.
પ્રથમ ઉદ્બોધનમાં યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેનું અંતર ટુંકાવવા આવા આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનની સમીક્ષા કરતાં જણાવેલું કે “ગણપત યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેની ખાઈને પુરવામાં સક્ષમ છે”. આ પ્રસંગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન- ગાંધીનગરના ડાયરેક્ટર IAS ડો. મનીષ બંસલ હાઇબ્રીડ મોડમાં ઓનલાઈન સ્વરૂપે હાજર રહી પોતાની હળવી શૈલીમાં જણાવ્યું હતું કે “અમે જયારે બીજા વિભાગના કામો કરીએ ત્યારે બુદ્ધિથી કરીએ છીએ પરંતુ જ્યારે શિક્ષણ બાબતે કોઈ કામ કરવાનું થાય તો તે હૃદયપૂર્વક કરીએ છીએ!” પ્રાસંગિક પ્રવચનમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર IAS શ્રી વસંત ગઢવીએ જણાવ્યું હતું કે, “અમે ગણપત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પાસેથી ઘણું શીખી રહ્યા છીએ અને CSR તથા ફીલાન્થ્રોપી માટે ગણપત યુનિવર્સિટીથી વિશેષ બીજો કોઈ વિકલ્પ હોઈ ન શકે. પોતાની વાત રજુ કરતાં RAF ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન શ્રી રીઝવાન આડતિયાએ કહ્યું હતું કે, “આપણી પાસે જે કાંઈ છે તેનાથી માનવસમાજની સેવા કરીએ.” પોતાના આગવા વ્યક્તિત્વમાં અને વક્તવ્યમાં ONGC મહેસાણાના એસેટ મેનેજર શ્રી સુનિલ કુમારે CSR ને વસુધૈવકુટુમ્બકમ સાથે સાંકળતા કહ્યું હતું કે, “આપણે ભારતવર્ષમાં ન કેવળ મનુષ્યો પરંતુ પ્રત્યેક જીવાત્માને સમાન ગણીએ છીએ અને સહુનું કલ્યાણ ઈચ્છીએ છીએ.” તેમણે માનવ કલ્યાણ અર્થે મહર્ષિ દધીચિના બલીદાનની વાત બહુ સૂચક રીતે રજુ કરી હતી. આ પ્રસંગે ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને CEO શ્રી જ્વલંત બાટવિયાએ જણાવ્યું કે, “મને CSR થકી ગણપત યુનિવર્સિટી અને તે થકી સમાજની ચપટી રજ જેટલી મદદ કરવાની તક મળી તેથી ખુશ છું.” ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને CEO શ્રી સૈયદ અહમદે આવનારા દિવસોમાં ટેકનોલોજીના ઘોડે સવાર થઇ વિશ્વમાં કાઠું કાઢવાની વાત કરી.
પ્રાસંગિક પ્રવચનમાં યુનિવર્સિટીના માનનીય પ્રમુખ અને દાતા-અધિષ્ઠાતા પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલે જણાવ્યું કે, “અમે ગુજરાતમાં મહત્તમ સંખ્યામાં કૌશલ્યસભર વિદ્યાર્થીઓનું નિર્માણ કરતો અગ્રેસર પરિવાર છીએ” અને પધારેલા ઉદ્યોગ સાહસિકોને ખાતરી આપતા પોતાની રમૂજી શૈલીમાં કહ્યું હતું કે, “જો તમે અહી નાણા રોકશો તો અમે તમને પાઈએ પાઈનું મહત્તમ વળતર આપીશું!” પોતાના ઉદ્બોધનમાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સાહસિકતા વિભાગના એક્ઝિક્યુટિવ સદસ્યા ડો. નીના પાહુજાએ ટકોર કરી કે, “કૌશલ્ય એ જ શિક્ષણનો કેન્દ્રવર્તી ભાગ હોવો જોઈએ… શું આપણે આવા વિદ્યાર્થીઓ/નાગરિકો પેદા ન કરી શકીએ?” કાર્યક્રમના મુખ્ય મહેમાન NBA ના વર્તમાન ચેરમેન અને AICTE ના ભૂતપૂર્વ ચેરમેન પ્રો. અનિલ સહસ્રબુદ્ધેએ ‘સર્વે જનાહા સુખિન ભવન્તુ’ થી શરુ કરીને ગણપત યુનિવર્સિટીના મોફાટ વખાણ કરતાં જણાવ્યું હતું કે, “આવનારા વર્ષોમાં ભારત એ વિશ્વશાંતિનું ચિન્હ બનશે, પરંતુ મને અહી આ યુનિવર્સિટીમાં અત્યારથીજ આવી પરમ શાતાનો અનુભવ થાય છે, અને મને વિશ્વાસ છે આવી યુનિવર્સિટીઓ થકી આપણે ૨૦૪૭ સુધીમાં પુનઃ ૩૦% GDP સુધી પહોચીશું.”
ગણપત યુનિવર્સિટિના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો, યુનિવર્સિટી હોદ્દેદારો, પધારેલ વિચારકો, વિદ્યાર્થીઓનો આ સંમેલન દિપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.