દાદા-દાદી સ્નેહ સંમેલન: સંસ્કાર, સ્નેહ અને સંવાદનો સંગમ

દાદા-દાદી સ્નેહ સંમેલન: સંસ્કાર, સ્નેહ અને સંવાદનો સંગમ
નવચેતન વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં ‘દાદા-દાદી દિવસ’ની ભાવસભર ઉજવણી

હજીરા, સુરત: હજીરા નજીક જૂનાગામમાં આવેલી નવચેતન અદાણી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) દ્વારા વિદ્યાર્થીઓના દાદા-દાદી અને નાના-નાની માટે ‘સ્નેહ સંમેલન’ યોજાયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૬૫ જેટલા વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શાળા પરિવારે તમામ વડીલોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ પોતાના દાદા-દાદી અને નાના-નાનીને જાતે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ તેમજ પુષ્પગુચ્છ આપ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. બાળકોએ વડીલોનું પૂજન કરીને તેમની સાથે વધુ સમય વિતાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. આ ભાવનાત્મક ક્ષણો દરમિયાન વડીલોના ચહેરા પર આનંદ અને આંખોમાં સ્નેહ છલકાતો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં પારિવારિક મુલ્યો, આદર અને કૃતજ્ઞતાની ભાવના દૃઢ થઈ હતી.
વડીલો માટે સંગીત સાથે ‘પાસિંગ ધ બોલ’ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે બાળકો જેવા ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ વડીલોએ પોતાના જીવનના અનુભવો વાગોળ્યા હતા તેમજ ભજન અને આરતીની સુંદર રજૂઆત કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢી પોતાના વડીલો સાથે ગુણવત્તાસભર સમય વિતાવે. બે પેઢીઓ વચ્ચે પ્રેમ અને સંવાદનો સેતુ રચાય. વડીલોના જીવનમૂલ્યો અને અનુભવોનું સિંચન બાળકોમાં થાય.
આ સંમેલને એ સુંદર સંદેશ આપ્યો કે વડીલો માત્ર પરિવારનો ભાગ નથી, પરંતુ સંસ્કાર અને અનુભવનો અમૂલ્ય ખજાનો છે. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, આનંદ અને આત્મીયતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.



