‘યોગ મહોત્સવ-૨૦૨૪’ સાથે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ૫૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ
- ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ સાથે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ૫૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ
*અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાયો:*
*યોગ શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીને સુધારવાનું એક વ્યાપક માધ્યમ છેઃ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા*
*મોટી સંખ્યામાં સુરતીઓ યોગમાં ભાગ લઈ યોગમય બન્યાઃ*
*આધુનિક જીવનશૈલીમાં બિન-સંચારી રોગોથી ઊભા થતા પડકારોનો સામનો કરવા માટે યોગએ સબળ માધ્યમ બની શકે છેઃ ઇન્ટર યુનિ. એકસેલરેટર, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.અવિનાશ પાંડે*
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હસ્તકની મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘યોગ મહોત્સવ-૨૦૨૪’ યોજાયો હતો. દર વર્ષે તા.૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીના ૫૦ દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર ‘યોગ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિધિવત જાહેરાત વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થઈ હતી. અને વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જુનના રોજ સમગ્ર વિશ્વમાં ‘આંતરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી શરૂ થઈ હતી. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં વિશ્વના ૧૭૦ દેશોના ૨૩.૫ કરોડથી વધુ લોકોએ એક સાથે કરેલા યોગાભ્યાસ થકી વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. જે વૈશ્વિક ધોરણે યોગ અને તેનાથી થતા સર્વાંગી વિકાસ અંગે વધેલી જાગૃતત્તાની સાબિતી છે. સાથે જ તેમણે ગત વર્ષે સુરત શહેર દ્વારા સર્જાયેલા વર્લ્ડ રેકોર્ડને પણ પ્રેરણાદાયી ગણાવ્યો હતો.
વધુમાં તેમણે સ્વચ્છતામાં અગ્રીમ સ્થાને પહોંચેલા સુરતીઓને યોગાભ્યાસમાં પણ અવ્વલ સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. યોગ શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીને સુધારવાનું એક વ્યાપક માધ્યમ છે એમ તેમને ભારપૂર્વક ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઇન્ટર યુનિ. એકસેલરેટર, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો.અવિનાશ પાંડેએ રોજિંદા જીવનમાં યોગનું મહત્વ જણાવતા કહ્યું હતું કે, યોગ સમગ્ર માનવજીવનને લાભકારી હોય સમાજની સાર્વત્રિક સુખાકારી માટે દરેક ઘરમાં યોગાભ્યાસ થવો આવશ્યક છે. આધુનિક જીવનશૈલીમાં બિન-સંચારી રોગોથી ઊભા થતા પડકારોનો સામનો કરવા માટે યોગએ સબળ માધ્યમ બની શકે છે. જેથી સમગ્ર વિશ્વના લોકોને યોગનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
‘યોગ એ મનના સંતુલનની સ્થિતિ છે’, એમ જણાવતા તેમણે કહ્યું કે, યોગ સ્વાસ્થ્ય સાથે શાંતિનો સમન્વય સાધે છે. તે આવશ્યકપણે જાગૃતિનું વિજ્ઞાન છે, જે વ્યક્તિને તેના શરીર, મન અને પર્યાવરણ પ્રત્યે ઊંડી સમજ વિકસાવવા માટે સક્ષમ બનાવે છે. પરિવર્તન માટે યોગને એક શક્તિશાળી સાધન ગણાવી લોકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય સુખાકારી માટે સૌ કૉઇએ યોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે આયુષ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલશ્રી સત્યજિત પૉલ, મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા નવી દિલ્હીના ડાયરેક્ટર વૈધ કાશીનાથ સનાગઢે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર શ્રીમતી સ્વાતીબેન ધાનાણી, ડેપ્યુટી કલેક્ટરશ્રી મીનાબેન ગજ્જર સહિત મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ, યોગસાધકો ઉપસ્થિત રહ્યાં હતા.
–