ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજ આપવામાં આવી રહી છે. ત્યારે દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ પણ, પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અને વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિથી અવગત થાય તે માટે, ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે.
તાજેતરમાં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગલકુંડ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ચિરાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનરો શ્રી યંશવતભાઇ સહારે અને શ્રી અનિલભાઇ રાઉત દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ લોકોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.