ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધવીસર્જિત કરાયેલી 3000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન

ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધવીસર્જિત કરાયેલી 3000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ના 200 થી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી, ખરવાસાની નહેરોમાંથી રઝળતી/અર્ધવીસર્જિત કરેલી ગણેશજીની 3000 થી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવેલ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે, ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી વિસ્તારના 200 થી વધુ ગૌસેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધવિસર્જિત પીઓપી બનાવટની 3000 થી વધુ મૂર્તિઓ ડીંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃવિસર્જન કરવામાં આવેલ. છેલ્લા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરું જગ્યાએ મૂકી ને જતા રહેવાનું. આ વિષયે અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેર વાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવા આવે છે તેમ છતાં નાસમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે.
અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે, આ પ્રકારનું વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી, અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો. જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો.