અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સ્વસહાય જૂથોની બહેનોની દિવાળી પહેલા દિવાળી

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સ્વસહાય જૂથોની બહેનોની દિવાળી પહેલા દિવાળી
– અદાણી શાંતિગ્રામના મેળામાં સુરતની બહેનોના સ્ટોલ ઉપર ડૉ.પ્રીતિ અદાણીએ મુલાકાત લીધી
– દિવાળી-નવરાત્રી મેળામાં મહિલા સ્વસહાય જૂથોએ લાખોનો વેપાર કર્યો
સુરત : હજીરાના કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના કોટવાળિયા સમાજની બહેનોની હસ્તકળાને તાજેતરમાં અદાણી ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદ અને સુરતમાં યોજાયેલા બે મેળામાં પોતાની હસ્તકળાને પ્રદર્શિત કરવાનો અવસર મળ્યો હતો. બંને મેળામાં બહેનોએ પોતાની હસ્તકળાના નમૂના વેચીને બહેનોએ સારી આવક મેળવી છે.
અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતની વિવિધ કલા અને સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યના વારસાને ઉજાગર કરતો ’સથવારો’ મેળો અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબમાં યોજાયો હતો. એ પછી સુરતમાં સ્નેહ સંકુલ વાડી ખાતે સર્વોદય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બંને મેળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી વાંસવા, દામકા, બરબોધન, અંભેટા અને ઉમરપાડાના સાદરાપાણીના પાંચ મહિલા સ્વસહાય જૂથોએ પોતાની હસ્તકળાના નમૂના વેચાણ કરીને બહુ સારી આવક મેળવી હતી. અમદાવાદ ખાતે બહેનોના સ્ટોલ ઉપરથી અદાણી પરિવાર અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબેન અદાણીએ પણ મુલાકાત લઈને ખરીદી કરી હતી.
ચણિયાચોળી, ફેબ્રીક જ્વેલરી, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, મીણબત્તીઓ, કોસ્ચ્યુમ જ્વેલરી અને વાંસની બનાવટના કલાત્મક નમૂના પ્રદર્શિત કર્યા હતા. આ સ્વસહાય જૂથોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને વેપાર વધારવાનો અનોખો અવસર મળ્યો, તેમની કલા રજૂ કરવાની અને વેચાણ કરવાની તક મળી હતી. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી, આ જૂથોને આવા પ્રદર્શનોમાં ભાગ લેવાની શ્રેષ્ઠ તક મળી, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમને પેકેજિંગ, માર્કેટિંગ, કિંમતો અને પ્રોડક્ટની પ્રેઝન્ટેશન અંગેની નવી શીખ મળે.
પ્રદર્શનમાં ભાગ લેનારી બહેનોના આ સ્વસહાય જૂથોએ બે લાખથી વધુનું વેચાણ કરીને દિવાળી પહેલા જ સારી આવક મેળવી છે. આ કાર્યક્રમ સ્થાનિક હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની દિશામાં મક્કમ પગલું છે, જેનાથી સ્વસહાય જૂથોને વધુ તક મળતી રહેશે અને તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.