શિક્ષા

વૈચારિક ક્રાંતિ અભિયાન અંતર્ગત ડાંગ અને તાપી જિલ્લાની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘સફળતાનાં સોપાનો’ સેમિનાર યોજાયા

વૈચારિક ક્રાંતિ અભિયાન અંતર્ગત ડાંગ અને તાપી જિલ્લાની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘સફળતાનાં સોપાનો’ સેમિનાર યોજાયા

પરીક્ષાનું મહત્ત્વ સમજીને ખંત, કાળજી, ઉત્સાહથી આયોજનપૂર્વક તૈયારી કરવાની જરૂર છે; પણ પરીક્ષાનો ડર રાખવાની જરૂર નથી. – રાજેશકુમાર ધામેલિયા

વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ સાચી કેળવણી મેળવે એવા ઉમદા ભાવ સાથે માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ‘વૈચારિક ક્રાંતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ નિર્ભીક થઈને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તેમજ સાચા વિચારો પ્રાપ્ત કરીને જીવનની પરીક્ષામાં પણ સફળતા મેળવે તેવા શુભ આશયથી ભારતીય જન સેવા સંઘ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા – પિંપરી, જિ. ડાંગ; એસ.એસ.માહલા નર્સિંગ કૉલેજ તા. વઘઈ, જિ. ડાંગ અને આશ્રમશાળા – ઉમરવાવદુર, તા. ડોલવણ, જિ. તાપી એમ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સફળતાનાં સોપાનો’ પરિસંવાદ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મયોગી શ્રી અશોકભાઈ અણઘણે મધુર કંઠે પ્રાર્થનાનું ગાન કરાવ્યું હતું. શ્રીમતી હેતલબહેન ધામેલિયા અભિનયગીત રજૂ કરી સૌને આનંદિત કર્યાં હતાં. શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટબલ ટ્રસ્ટનાં કાર્યોની આછેરી માહિતી આપી હતી અને આજના વક્તા શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો તેમજ વ્યસનમુક્ત જીવન જીવવા માટેનો સંદેશ આપ્યો હતો.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનાં અનેક સોપાનો છે, તે પૈકી મુખ્ય ત્રણ ગણાવી શકાય : લક્ષ્ય નિર્ધાર, સુગ્રથિત આયોજન અને સખત પુરુષાર્થ. શ્રી કેશુભાઈ ગોટીના માર્ગદર્શન હેઠળ ભારતનાં અઢાર રાજ્યોમાં અંતરિયાળ, દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં ૨૧૭ શાળાઓનાં ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને ૪૦ જેટલાં ભવનોનું નિર્માણ કાર્ય શરૂ છે. એમની સફળતામાં પણ અહીં દર્શાવેલાં સોપાનો નજરે પડે છે. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે આયોજનપૂર્વક અને ઉત્સાહથી તેની તૈયારી કરીએ તે ખૂબ જરૂરી છે. પણ પરીક્ષાથી ડરવાની જરૂર નથી. ડરને કારણે જ પરીક્ષા દરમિયાન વાંચેલું યાદ નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે, નિષ્ફતા એ સફળતાની ચાવી છે. મારી દૃષ્ટિએ આ અધૂરું વિધાન છે. નિષ્ફળતામાંથી બોધપાઠ લઈ સાચી દિશામાં સખત પુરુષાર્થ કરવો એ સફળતાની ચાવી છે. પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓનું મન પ્રફુલ્લિત રહે, તન-મન તંદુરસ્ત રહે તે માટે યોગ્ય અને સુપાચ્ય આહાર તેમજ પૂરતી ઊંઘ જરૂરી છે; તે ઉપરાંત દરરોજ થોડો સમય રમત પાછળ ફાળવે તે પણ ખૂબ જરૂરી છે. પરીક્ષાનો ડર રાખીને ભયગ્રસ્ત થઈને કલાકો સુધી વાંચે તેના કરતાં નિર્ભય થઈને આનંદથી વાંચેલું વધારે યાદ રહે છે.” ત્રણેય સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. ઉત્સાહથી ઉત્તર આપનાર વિદ્યાર્થીઓને પુસ્તક અને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પિંપરી ખાતે શાળા સંચાલક શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી, આચાર્યા અમિતાબહેન સોલંકી, શ્રી પૂર્વેશભાઈ રાઠોડ તેમજ શાળા પરિવારના ભાઈઓ બહેનો; એસ.એસ.માહલા નર્સિંગ કૉલેજમાં ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ માહલા, આચાર્ય શ્રી નિકેતનભાઈ પટેલ, શ્રી અરુણભાઈ અને ઉમરવાવદુર ખાતે મંજુલાબહેન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રણેય સંસ્થાઓએ માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટબલ ટ્રસ્ટનો અને કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button