બારડોલી તાલુકાના ઉમરાખ ગામની વિદ્યાભારતી નર્સિંગ સ્કુલમાં ’ધૂમ્રપાન નિષેધ’ કાર્યક્રમ યોજાયો

બારડોલી તાલુકાના ઉમરાખ ગામની વિદ્યાભારતી નર્સિંગ સ્કુલમાં ’ધૂમ્રપાન નિષેધ’ કાર્યક્રમ યોજાયો
યુવાઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ ભારતના નિર્માણ માટે પ્રોત્સાહિત કરાયા

ભારત સરકારના ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન-૩.૦ અંતર્ગત સુરત જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા બારડોલી તાલુકાના ઉમરાખ ગામની વિદ્યાભારતી નર્સિંગ સ્કુલ ખાતે અંદાજિત ૧૫૦ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ માટે ‘ધૂમ્રપાન નિષેધ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા પેઢીને વ્યસનમુક્તિ માટે જાગૃત કરાયા હતા અને તમાકુના વ્યસનમાં ક્યારેય ન ફસાઈને સ્વસ્થ ભાવિનું નિર્માણ કરવા પ્રેરિત કરાયા હતા.
યુવાનોને સિગારેટ, તમાકુ જેવા નશીલા પદાર્થોથી થતાં શારીરિક નુકસાન વિશે ઊંડાણપૂર્વક સમજ અપાઈ હતી. સાથે જ શાળા, સમાજ, અને પરિવારોને પોતાના ઘરના યુવાઓને સમજાવી તેઓને વ્યસનથી દૂર રાખવા સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત સૌએ વ્યસન મુક્તિ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
નોંધનીય છે કે, તમાકું એ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે (GYTS) ૨૦૧૯ પ્રમાણે ગુજરાતમાં ૧૩ થી ૧૫ વર્ષની ઉંમરના લગભગ ૫.૪ % વિદ્યાર્થીઓ તમાકુના ઘણા પ્રકારનું સેવન કરે છે. ગુજરાતના યુવાનોમાં સિગારેટ અને તમાકુનો વધતો જતો ઉપયોગ ચિંતાનો વિષય છે. આ આંકડા દર્શાવે છે કે તમાકુ સામેની લડાઈ હજી પૂર્ણ નથી થઈ. ખાસ કરીને યુવાનો, જે મિત્રના આગ્રહ, જાહેરાતો, અને તમાકુ પ્રોડક્ટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે.
-૦૦૦-



