રાજેશ ધામેલિયાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા “ગુરુકુલ જ્ઞાનજ્યોતિ ઍવૉર્ડ” એનાયત કરવામાં આવ્યો

રાજેશ ધામેલિયાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા “ગુરુકુલ જ્ઞાનજ્યોતિ ઍવૉર્ડ” એનાયત કરવામાં આવ્યો
માતૃભાષા ગૌરવ સંવર્ધન અભિયાન દ્વારા ગુજરાતભરમાં અનેક શાળાઓમાં ‘સાચી જોડણી લાગે વહાલી’, ‘ભાષા સજ્જતા’ અને ‘ગુજલિશ’ વગેરે સેમિનાર યોજીને માતૃભાષા માટે અનન્ય કાર્ય કરવા બદલ ન.પ્રા.શિ.સ., સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા-નાના વરાછા, સુરતના શિક્ષક શ્રી રાજેશ ધામેલિયાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શ્રી નીલકંઠધામ- પોઈચા ખાતે યોજાયેલ નેશનલ કૉન્ફરન્સમાં શ્રી પ્રભુચરણદાસજી સ્વામી અને વીર નર્મદ દ.ગુ.યુનિ.ના કુલપતિના વરદ હસ્તે “ગુરુકુલ જ્ઞાનજ્યોતિ ઍવૉર્ડ” એનાયત કરવામાં આવ્યો. ‘એકવીસમી સદીમાં સનાતન ધર્મ’ વિષય પર તા. 17-01-’24 થી 18-01-‘24 દરમિયાન નેશનલ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ કાર્ય સાથે રાજેશ ધામેલિયાએ ‘બાળકેળવણી’, ‘સાચી જોડણી લાગે વહાલી’, ‘ભાષા સજ્જતા’, ‘ગૌરવવંતાં પથદર્શકો’ જેવાં પુસ્તકોનું લેખન કાર્ય કર્યું છે. 20,000 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાચી જોડણી લાગે વહાલી પુસ્તિકાઓનું વિતરણ કર્યું છે. ન.પ્રા.શિ.સ.,સુરતની 300 શાળાઓ, રાજકોટની 200 શાળાઓ અને ભાવનગરની 65 શાળાઓમાં “બાળકેળવણી”, “સાચી જોડણી લાગે વહાલી” અને “ભાષા સજ્જતા” પુસ્તિકાઓ ભેટરૂપે આપી છે. 2,50,000થી વધારે લોકોએ તેમનાં પુસ્તકો વસાવ્યાં છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમના 650થી વધારે લેખો પ્રસિદ્ધ થયા છે. ભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન દ્વારા માતૃભાષાનું સંવર્ધન કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે વિવિધ પ્રકારના સેમિનાર યોજી રહ્યા છે. ગુજરાતભરની 600થી વધારે સંસ્થાઓમાં તેમના કાર્યક્રમો યોજાયા છે.
આ પહેલાં રાજેશભાઈ ધામેલિયાને વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી કરવા બદલ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે “સાહિત્ય સુધાકર” પદવીથી નવાજ્યા છે. આ ઉપરાંત અનેક ઍવૉર્ડ તમને પ્રાપ્ત થયા છે. મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે ‘રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ’, વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે “શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ પારિતોષિક”, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા “સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ”, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરત દ્વારા “વિશિષ્ટ સેવા ઍવૉર્ડ”, સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા “સુરત જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ”, ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ- સુરત દ્વારા “ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ” અને અચલા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા “અચલા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા “શિક્ષક સજ્જતા ઍવૉર્ડ”, ધી સઘર્ન ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ બુઢણા (સુરત) દ્વારા ‘ગામ ગૌરવ સન્માન’, 161 વિધાનસભા મતવિસ્તારમાં બે વખત “બેસ્ટ બી.એલ.ઓ. ઍવૉર્ડ” વગેરે અનેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે.