સાધલીમાં એક જ દિવસે બિરસા મુંડા અને બાબા સાહેબની પ્રતિમાઓનું લોકાર્પણ.

સાધલીમાં એક જ દિવસે બિરસા મુંડા અને બાબા સાહેબની પ્રતિમાઓનું લોકાર્પણ.
ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે સાધલી બસ સ્ટેન્ડ ખાતે પ્રતિમા અનાવરણ
શિનોર તાલુકાના સાધલી મુકામે ડૉ. બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે બસ સ્ટેન્ડ પાસે તેઓની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું.
આજરોજ તારીખ 14 એપ્રિલ 2026 ને મંગળવારના દિવસે સાધલી યુવા સંગઠન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરીને ભારત રત્ન ,મહાવિધ્વાન, અર્થશાસ્ત્રી મહાનાયક ,મહાન ઈતિહાસકાર, વિશ્વરત્ન ,વિશ્વવિભૂતિ , બૌધ્ધીસત્વ, સમાજ ઉધ્ધારક, ભારતીય સંવિધાન રચયિતા અને મહામાનવ તથા શિક્ષિત બનો સંગઠિત રહો અને સંપર્ક કરોનું દિવ્ય સૂત્ર આપનાર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની પુરા કદની પ્રતિમાનું અનાવરણ સાધલી બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું.
બપોરે 4:00 કલાકે ડીજેના તાલે અને જય ભીમ ના નારા સાથે વિશાળ શોભાયાત્રા રામદેવ મંદિર થી નીકળી બસ સ્ટેન્ડે આવી, અને આજે જ અનાવરણ થયેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા કરીને શોભાયાત્રા બસ સ્ટેન્ડે આવી અનાવરણનો કાર્યક્રમ શરૂ કરાયો. ધારાસભ્ય અક્ષય પટેલ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું તે સમયે જય ભીમના નારાથી આખું બસ સ્ટેન્ડ ગાજી ઉઠ્યું હતું, અને ફટાકડાથી આતક બાજી ની રમઝટ જામી હતી.
સાધલી ખાતે આજે દિવ્ય અને સોનેરી દિવસનો ઉદય થયો કહેવાય કારણ કે ભારત અને વિશ્વની મહાન બે વિભૂતિઓ ભગવાન બિરસા મુંડા તથા ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમાનું એક જ દિવસે અનાવરણ થતાં સાધલીમાં હવે કાયમ માટે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ ,ભગવાન બિરસા મુંડા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની કાયમી પ્રતિમાઓ દેશ પ્રેમની યાદ અપાવ્યા કરશે.



