એસપીબી કોલેજના બી.કોમ.ના વિદ્યાર્થીઓ અદાણી પોર્ટની મુલાકાતે

એસપીબી કોલેજના બી.કોમ.ના વિદ્યાર્થીઓ અદાણી પોર્ટની મુલાકાતે
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના તૃતીય વર્ષ બી.કોમ.ના ૫૪ વિદ્યાર્થીઓએ આજે તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અદાણી પોર્ટ, સુરતની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકીય જ્ઞાનની સાથે ઔદ્યોગિક ક્ષેત્રની વાસ્તવિક કાર્યપ્રણાલીનો પ્રત્યક્ષ પરિચય મળે તથા વ્યાવસાયિક દૃષ્ટિકોણ વિકસે તે હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બંદરની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમને આયાત-નિકાસની પ્રક્રિયા, માલસામાનની હેરફેર અને સંગ્રહ, કન્ટેનરનું સંચાલન, પરિવહન વ્યવસ્થા તથા પુરવઠા સાંકળના સંચાલન અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત, બંદરની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આધુનિક તકનીકીના ઉપયોગ અને વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અદાણી પોર્ટના અધિકારીઓ અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને બંદરની કામગીરીની વિવિધ કડીઓ તથા દેશના વેપાર અને આયાત-નિકાસ ક્ષેત્રમાં બંદરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ અધિકારીઓ સાથે સંવાદ સાધી વિવિધ કામગીરી અંગે પ્રશ્નો પૂછીને વ્યવહારુ જ્ઞાન મેળવ્યું હતું.
આ મુલાકાતે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક ઔદ્યોગિક પરિસ્થિતિ સાથે સાંકળવાની અનોખી તક પૂરી પાડી હતી. સાથે જ લોજિસ્ટિક્સ, પરિવહન, આયાત-નિકાસ અને પુરવઠા સાંકળ જેવા ક્ષેત્રોની કાર્યપદ્ધતિને નજીકથી સમજવાનો અનુભવ મળતાં વિદ્યાર્થીઓમાં ઉદ્યોગલક્ષી સમજ અને વ્યવસાયિક દૃષ્ટિકોણ વધુ મજબૂત બન્યો હતો.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ મુલાકાત જ્ઞાન, અનુભવ અને વ્યવહારુ સમજનો સમન્વય કરાવતી સાબિત થઈ હતી અને વિદ્યાર્થીઓ માટે યાદગાર શૈક્ષણિક અનુભવ બની રહી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શૈક્ષણિક મુલાકાતનું સંકલન ડૉ. રવિ પટેલ અને પ્રા. રાધિકા ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.



