ગુજરાત

સુરત શહેર-જિલ્લામાં એલ.પી.જી. ગેસનો પૂરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ

સુરત શહેર-જિલ્લામાં એલ.પી.જી. ગેસનો પૂરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ
ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી: ગ્રાહકોને પેનિક ન થવાનો અનુરોધ કરતા જિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ
એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરાશે: એસોજીના DCP રાજદીપસિંહ નકુમ

મધ્યપૂર્વના દેશોમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ તથા એસોજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલ.પી.જી.ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી. ઉપરાંત વિવિધ ટીમો દ્વારા શહેરની જુદી-જુદી રેસ્ટોરન્ટસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા પૂરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સુરતમાં ગેસનો પૂરતો પૂરવઠો ઉપલબ્ધ છે. એલપીજી સિલિન્ડરની અછત ન સર્જાય તે માટે શહેર જિલ્લાના ગોડાઉનોમાં સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે. કૃત્રિમ અછત ઊભી ન થાય ઉપરાંત ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગેસ વિતરક કંપનીઓ દ્વારા ગેસ સિલીન્ડરનો સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. જેથી તમામ ગ્રાહકોને પેનિક થવાની જરૂર નથી.
તેમણે તમામ ગ્રાહકોને અપીલ કરી હતી કે ગ્રાહકો કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સિલીન્ડર બુકિંગ કરાવે.
એસોજીના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, SOG અને સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા, સંગ્રહખોરી કરનારા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગેસ બોટલ્સનો અનાવશ્યક સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી થશે. કોઈપણ વ્યક્તિ દ્વારા એલ.પી.જી. ગેસ સિલીન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button