‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશમાં જોડતા આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશમાં જોડતા આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
સ્મીમેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા શ્રમદાન કર્યું: સ્મીમેરના વિવિધ વોર્ડની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી
‘નમો સ્વચ્છતા અભિયાન’ થકી ગુજરાતની તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને મોડેલ ‘આરોગ્ય મંદિર’ બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ: પ્રફુલભાઈ પાનશેરીયા
તા.૧ થી ૭ જુલાઈ દરમિયાન રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલમાં સફાઈ ઝુંબેશમાં જોડાઈ શ્રમદાન કરી આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીએ સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી, તેમજ સમગ્ર કેમ્પસમાં ચાલી રહેલી મેગા સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને આરોગ્ય સ્ટાફને હોસ્પિટલને સ્વચ્છ અને સુઘડ બનાવવાની પ્રેરણા આપી હતી.
“મન સ્વચ્છ, શરીર સ્વચ્છ, મારું આરોગ્ય ભવન સ્વચ્છ” ના મંત્ર સાથે નો સ્વચ્છતા અભિયાન હેઠળ મંત્રીશ્રીએ સુરત જિલ્લા સહિત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય મંદિરોમાં સ્વચ્છતા અને ચેપમુક્ત વાતાવરણ જાળવવા જણાવી કહ્યું કે, હોસ્પિટલમાં વર્ષોથી પડી રહેલો ભંગાર, બિનઉપયોગી સાધનો અને જૂના વાહનોનો આગામી સાત દિવસમાં સદંતર નિકાલ કરી તે જગ્યાનો ઉપયોગ દર્દીઓની સુવિધા માટે કરવામાં આવે તે જરૂરી છે.
‘નમો સ્વચ્છતા અભિયાન’ થકી ગુજરાતની તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને મોડેલ ‘આરોગ્ય મંદિર’ બનાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, રાજ્યની ૧૨ હજાર જેટલા હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં જૂનું ફર્નિચર, આઉટડેટેડ મેડિકલ સાધનો તેમજ બિનજરૂરી દસ્તાવેજો-સામગ્રીનો યોગ્ય નિકાલ કરીને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ તમામ સિવિલ, PHC અને CHC સેન્ટરોના કેમ્પસ, ટેરેસ અને બિલ્ડિંગની સફાઈ, શુદ્ધ પીવાના પાણીની સુનિશ્ચિતતા તેમજ ફાયર સેફ્ટીની સઘન ચકાસણી, લીકેજ નળ, તૂટેલી ટાઇલ્સ અને બારી-બારણાંના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. સ્મીમેર ખાતે ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને સંદેશ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત પ્રવૃત્તિ નહીં, પરંતુ દૈનિક જીવન તેમજ હોસ્પિટલોની રોજિંદી પ્રક્રિયાનો અભિન્ન હિસ્સો બનાવીએ. આપણે ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્કૃષ્ટ સેવાની સાથે સ્વચ્છતાનો એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે.
આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, ડે.મેયર સુધાકર ચૌધરી સહિત મેડિકલ અને નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.



