ગુજરાત
હવામાન વિભાગની આગાહીને અનુસરીને સુરત જિલ્લામાં તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ

- હવામાન વિભાગની આગાહીને અનુસરીને સુરત જિલ્લામાં તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ
- સુરત જિલ્લામાં વરસાદી પરિસ્થિતિનો ચિતાર આપી નાગરિકોને સાવચેતી રાખવા અને સહકાર આપવા અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર
- ચાલુ સિઝનમાં જિલ્લામાં સરેરાશ ૨૨૮ મિ.મી અને આજનો ૧૭.૯૨ મિ.મી વરસાદ નોંધાયો: હાલ જિલ્લામાં પૂરની કોઈ પરિસ્થિતિ નથી
સુરત : ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જે સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમારે જિલ્લામાં અત્યાર સુધી વરસેલા વરસાદની અસર તેમજ આગામી રેડ અલર્ટને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જિલ્લામાં સરેરાશ ૧૭.૯૨ મિ.મી વરસાદ નોંધાયો છે. અને ચાલુ સિઝનમાં જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૨૮ મિ.મી નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં ૩૮૯ મિ.મી, પલસાણામાં ૩૬૨ મિ.મી, મહુવામાં ૩૫૨ મિ.મી, બારડોલીમાં ૩૦૯ મિ.મી તેમજ ઉમરપાડામાં ૨૯૮ મિ.મી નોંધાયો છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો, જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી. છતાં તમામ જળાશયો અને નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ વરસાદના કારણે કેટલાક નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સંબંધિત વિભાગો દ્વારા સમયસર કામગીરી કરીને મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કરાયો છે. હાલ જિલ્લામાં કોઈ જાનહાનિ કે વ્યાપક નુકસાન થયું નથી.
જિલ્લાના રસતાઓની સ્થિતિ વર્ણવતા તેમણે જણાવ્યું કે, હાલની સ્થિતિએ સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં બે ગ્રામ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.
જિલ્લામાં વરસાદની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ વિષે તેમણે કહ્યું કે, જિલ્લામાં ઇમરરજન્સી ઓપરેશન સેન્ટર અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ ૨૪*૭ કાર્યરત કરાયા છે. ઓલપાડ ખાતે NDRFની અને માંગરોળ ખાતે SDRFની એક-એક ટીમ તૈનાત કરાઈ છે. પાલિકાના ફાયર વિભાગ, કામરેજ ERC સેન્ટર તથા તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગો બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે. તેમજ તમામ લાઈન વિભાગો વચ્ચે સંકલન સ્થાપી જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓને સંપર્ક ડિરેક્ટરી તૈયાર રખાઈ છે.
વધુમાં હાલના વરસાદી માહોલને ધ્યાને લઇ કલેકટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા તેમજ અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતીનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વિવિધ નદી,નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર નહીં કરવા, વીજળીના થાંભલા, ઢીલા હોર્ડિંગ્સ અને જોખમી વૃક્ષોથી દૂર રહેવા અને કોઈપણ ઈમરજન્સી કે મુશ્કેલીમાં જિલ્લા કંટ્રોલરૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક અને સજ્જ હોવાનું જણાવી નાગરિકોને સાવચેતી રાખવા, કોઈ અફવાથી ન દોરાવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.



