વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ-માધ્યમથી સુરત શહેરના છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૧૬ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ-માધ્યમથી સુરત શહેરના છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૧૬ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું
EWS-1 ના ૩૩૬ અને EWS-2 ના ૨૮૦ આધુનિક સુવિધાસભર આવાસોની ચાવીઓ લાભાર્થીઓને એનાયત કરાઈ
કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
સુરત: નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘અમૃત્ત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટેના આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત શહેરના છાપરાભાઠા વિસ્તાર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના રૂ.૪૧ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ૬૧૬ જેટલા પ્રધાનમંત્રી આવાસોનું વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું. જેમાં ઈ.ડબલ્યુ.એસ-૧ના ૩૩૬ અને ઈ.ડબલ્યુ.એસ-૨ના ૨૮૦ જેટલા અત્યાધુનિક સુવિધાયુક્ત કુલ ૬૧૬ આવાસોનો સમાવેશ થાય છે.
આ અવસરે સ્થાનિક કોર્પોરેટરશ્રી સર્વશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, વોર્ડ પ્રમુખશ્રી મુકેશભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કરીને મોટી સંખ્યામાં ગરીબ પરીવારોને સસ્તાદરે આવાસો મળ્યા એ બદલ જનકલ્યાણકારી સરકારનો આભાર માન્યો હતો. આ અવસરે કોર્પોરેટર શ્રીમતી ભાવિશાબેન, કાર્યપાલક ઈજનેરશ્રી પરમભાઈ રાંદેરી, કાર્યપાલક ઈજનેરશ્રી જતિન ઠાકર, અગ્રણી રવજીભાઇ સરવૈયા, ભાવિનભાઈ પટેલ, વૈશાલીબેન, અશોકભાઈ પંડયા તથા મોટી સંખ્યામાં આવાસો મેળવનાર લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, છાપરાભાઠા ખાતે નવનિર્મિત આવાસોમાં સાત માળના કુલ ૧૧ બ્લોક્સમાં પાર્કિંગ, આંતરિક રસ્તાઓ, લિફ્ટ તથા સટેરકેસ, ગટર અને પાણીની વ્યવસ્થા, સિક્યોરીટી કેબિન, ફાયર ફાયટિંગ સિસ્ટમ, અગાસી પર વોટર પ્રુફિંગ, લાઈટનિંગ અરેસ્ટર, સોલાર સિસ્ટમ, આપાતકાલીન પરિસ્થિતિઓ માટે ડિઝલ જનરેટર જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથેના ઈ.ડબ્યુ.એસ.-૧ અને ઈ.ડબ્યુ-૨ આવાસો નિર્માણ થયા છે.